IPC-CRPC કાયદામાં મોટા ફેરફારની તૈયારીમાં સરકાર, જાણો શું કહ્યું અમિત શાહે?
અમિત શાહે મોટી ઉથલપાથલના એંધાણ આપ્યા છે. અમિત શાહ હરિયાણાના સુરજકુંડમાં રાજ્યોના ગૃહમંત્રીઓની ચિંતન શિબિરમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા.
નવી દિલ્હી : અમિત શાહે મોટી ઉથલપાથલના એંધાણ આપ્યા છે. અમિત શાહ હરિયાણાના સુરજકુંડમાં રાજ્યોના ગૃહમંત્રીઓની ચિંતન શિબિરમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. અહીં અમિત શાહે જણાવ્યુ હતું કે, IPC અને CRPC ના કાયદામાં સુધારા માટે તેમની પાસે ઘણા સૂચનો આવ્યા છે. આ બાબતે લાંબો વિચાર વિમર્ષ થયો છે. હુ તેને વિગતે જોઈ રહ્યો છુ. અમે બહુ જલ્દી સંસદમાં IPC અને CRPC ડ્રાફ્ટ લઈને આવીશું.
અમિત શાહે કહ્યું કે, કેટલીક સંસ્થાઓ ભારત સરકારની નીતિઓ વિરુદ્ધ FCRA એક્ટનો દુરુપયોગ કરી રહી છે. આ સ્થિતિમાં અમે આ કાયદામાં ફેરફાર કરવા માટે હોમવર્ક કર્યું છે. ટૂંક સમયમાં તેને સંસદમાં રજૂ કરવામાં આવશે.
અહીં તમને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન 2047 અને પંચ પ્રાણના અમલીકરણ માટે એક્શન પ્લાન તૈયાર કરવા સૂરજકુંડમાં બે દિવસીય ચિંતન શિવરનું આયોજન કરવામાં આવ્યુ છે.
આ ચિંતન શિબિરમાં અમિત શાહે કહ્યું કે, કેન્દ્ર સરકારે ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટમાં સુધારો કરીને ભારતના વિકાસમાં અવરોધો ઉભી કરતી બિન-સરકારી સંસ્થાઓ સામે મજબૂત પગલાં લીધા છે. આ સિવાય શાહે કહ્યું કે 2024 સુધીમાં તમામ રાજ્યોમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની ઓફિસો હશે. તેમણે કહ્યું હતું કે સરહદ પારની ગુનાખોરી સામેની લડાઈમાં સાથે રહેવાની કેન્દ્ર અને રાજ્યની સંયુક્ત જવાબદારી છે.
અમિત શાહે આગળ કહ્યું કે, આપણે સીમા પારની ગુનાખોરી સામેની લડાઈમાં ત્યારે જ સફળ થઈ શકીશું જ્યારે તમામ રાજ્યો સાથે ચર્ચા કરવા અને રોકવા માટે નિયમો બનાવશે. તેમણે કહ્યું કે મોદી સરકારે આંતરિક સુરક્ષાના તમામ માપદંડોને પૂર્ણ કર્યા છે.