GST લાગુ થયા બાદ હવે કોઇ કરચોરી નહીં કરી શકે: PM મોદી
શુક્રવારે મધરાતે જીએસટી લાગુ કર્યા બાદ શનિવારે ICAIના સ્થાપના દિવસ કાર્યક્રમમાં પહોંચેલા પીએમ મોદીએ કહ્યું કે, જીએસટી એ કરચોરીની ભાળ મેળવવાની દિશામાં મુખ્ય પગલું છે.
જીએસટી લાગુ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટેન્ટ્સ ઓફ ઇન્ડિયા(ICAI)ના સ્થાપના દિવસ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. અહીં લાઇટ્સ, કેમેરા અને એક્શન વચ્ચે કંઇક ફિલ્મી અંદાજમાં પીએમની એન્ટ્રી થઇ હતી. નરેન્દ્ર મોદીના એક-એક પગલાં સાથે લાઇટના રંગ બદલાઇ રહ્યાં હતા. ત્યાં હજાર હજારો લોકો પીએમની તસવીર લેવામાં વ્યસ્ત હતા અને પીએમ લોકોનું અભિવાદન ઝીલતાં આગળ વધી રહ્યા હતા.

આ એન્ટ્રી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે પોતાનું સંબોધન શરૂ કર્યું ત્યારે તેમણે જીએસટીને એક ઐતિહાસિક નિર્ણય ગણાવતાં કહ્યું કે, આ નિર્ણયથી દેશનું ભાગ્ય બદલાઇ જશે. કરચોરીની ભાળ મેળવવાની દિશામાં આ મુખ્ય પગલું છે. પીએમ મોદીએ ચાર્ટડ એકાઉન્ટન્ટ્સને આર્થિક જગતના ઋષિ ગણાવ્યા. તેમણે કહ્યું કે, રાજકારણનો હિસાબ ગણનારા જીએસટી અને નોટબંધી જેવા નિર્ણયો નથી લેતા, આવા નિર્ણયો તો રાષ્ટ્રનું હિત જોનાર સરકાર જ લઇ શકે.
પીએમ મોદીના સંબોધનના અન્ય મુખ્ય અંશો જાણો અહીં...
- સીએ સમુદાય સમાજના આર્થિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે.
- આપણે ક્યારેય નહીં ભૂલી શકીએ કે, કઇ રીતે પ્રોફેશનલ્સની કમ્યૂનિટીએ દેશની આઝાદી માટે સંઘર્ષ કર્યો હતો.
- જે રીતે દેશની આઝાદી માટે વકીલોએ સંઘર્ષ કર્યો હતો, એ જ રીતે હું ચાર્ટડ એકાઉન્ટન્ટ્સને વિનંતી કરું છું કે તેઓ ભારતના આર્થિક વિકાસમાં પોતાનું યોગદાન આપે.
- તમારી(સીએ) સહી પર લોકોને ખૂબ વિશ્વાસ છે, કૃપા કરી એ વિશ્વાસ તોડશો નહીં.
- જો એક વાર તમે(સીએ) નક્કી કરી લો, તો મને ખાતરી છે કે, દેશમાં કોઇ ટેક્સ ચોરી કરવાની હિંમત નહીં કરે.
- કેટલાક લોકોએ માત્ર આ દેશને લૂંટવાનું કામ કર્યું છે, તેઓ નથી ઇચ્છતા કે દેશ આગળ વધે. જે લોકોએ ગરીબોને લૂંટ્યા છે, તેમણે બધું પાછું આપવું પડશે.
- જીએસટી એ ભારતના આર્થિક ક્ષેત્રમાં એક નવી શરૂઆત છે, આ નિર્ણય દ્વારા સરકારે દેશને લૂંટનારાઓ સામે કડક પગલું ભર્યું છે.
- જીએસટીના નિર્ણયને તમે(સીએ) લોકોએ વધાવ્યો એ જાણીને આનંદ થાય છે, જીએસટી લાગુ થયા બાદ હવે લોકો કરચોરી નહીં કરી શકે.
- એક બાજુ સ્વચ્છ ભારત અભિયાન ચાલી રહ્યું છે અને બીજી બાજુ દેશને ભ્રષ્ટાચાર મુક્ત કરવાનું અભિયાન ચાલી રહ્યું છે.
- આજથી બે વર્ષ બાદ સ્વિસ બેંક ખાતાઓની જાણકારી આપવા માંડશે; જેમણે વિદેશી બેંકોમાં પૈસા જમા કર્યા છે, એ લોકો માટે મોટી મુસીબત ઊભી થનાર છે.
- કાળું નાણું ભેગું કરનારા સામે સરકારનું વલણ બદલાયું નથી, આવા લોકો વિરુદ્ધ કડક પગલાં લેવા માટે સરકાર કટિબદ્ધ છે.
- ચાલો, હવે આપણે સૌ આઝાદીની 75મી વર્ષગાંઠ એટલે કે વર્ષ 2022 સુધીમાં ભારતને જેવું બનાવવા માંગીએ છીએ, એ દિશામાં પ્રયાસ કરીએ.
- નોટબંધી બાદ 3 લાખ રજિસ્ટર્ડ કંપનીઓ પર શંકા ઊભી થઇ છે. એક લાખથી વધુ કંપીનઓ એક સાથે બંધ કરવામાં આવી છે, આવનારા દિવસોમાં વધુ કઠોર કાર્યવાહી કરવામાં આવશે.
- 11 વર્ષમાં માત્ર 25 સીએ પર કાર્યવાહી થઇ છે. આપણે લોકોને પ્રમાણિકતાથી ટેક્સ જમા કરવા માટે પ્રેરણા આપવાની છે. આપણો દેશ એક મુખ્ય વળાંક પર આવીને ઊભો છે. આશા છે, તમે મારી ભાવનાઓ સમજશો.












Click it and Unblock the Notifications
