Gujarat Election: ગુજરાતમાં મતદાન માટે મહારાષ્ટ્ર સરકારે લીધો મોટો નિર્ણય, રજા માટે જાહેર કર્યો આ આદેશ
ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થવાનુ છે માટે વધુને વધુ લોકો આમાં ભાગ લે તે માટે મહારાષ્ટ્ર સરકારે આદેશ જાહેર કર્યો છે.
Gujarat Election: ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થવાનુ છે માટે વધુને વધુ લોકો આમાં ભાગ લે તે માટે મહારાષ્ટ્ર સરકારે આદેશ જાહેર કરીને કહ્યુ છે કે ગુજરાતના જે લોકો મહારાષ્ટ્રમાં રહે છે તેમને મતદાન માટે એક દિવસની પેઈડ લીવ આપવામાં આવશે. આ આદેશ ગુજરાતના સીમાવર્તી જિલ્લાઓ જેવા કે પાલઘર, નાસિક, નંદૂરબાર અને ધૂલા માટે છે. મહારાષ્ટ્ર સરકારના જીઆરમાં એક દિવસની પેઈડ લીવ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મતદારોને આપવાનુ જાહેર કરવામાં આવ્યુ છે. વળી, બધી ખાનગી કંપનીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે કે તે આ આદેશનુ પાલન કરે. જો ક્યાંય પણ આનુ ઉલ્લંઘન થયુ તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

મહારાષ્ટ્ર સરકારે ખાનગી કંપનીઓને આ આદેશનુ ચુસ્તપણે પાલન કરવા જણાવ્યુ છે. અપવાદના કિસ્સામાં જો કોઈ કર્મચારીને આખા દિવસની રજા ન આપી શકાય તો તેને ઓછામાં ઓછા 2 કલાકની રજા આપવી જરૂરી છે. આ માટે જિલ્લા અધિકારી અને જિલ્લા ચૂંટણી અધિકારીની પરવાનગી લેવાની રહેશે. સરકારના આદેશમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યુ છે કે જો આદેશનું પાલન નહિ થાય તો કંપની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થવાનુ છે. ગુજરાતમાં આ વખતે ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. એક તરફ ભાજપ 27 વર્ષથી સત્તા પર છે ત્યાં બીજી તરફ કોંગ્રેસે ગઈ ચૂંટણીમાં સારુ પ્રદર્શન કરીને આ વખતની ચૂંટણીમાં પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. રાહુલ ગાંધી ખુદ ભારત જોડો યાત્રા છોડીને પ્રચાર કરવા આવી પહોંચ્યા છે. વળી, આમ આદમી પાર્ટી જોરશોરથી પ્રચાર કરી રહી છે. આપના સંયોજક અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, રાઘવ ચઢ્ઢા, સંજય સિંહ સહિત તમામ વરિષ્ઠ નેતાઓ અહીં રેલીઓ અને રોડ શો કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
