ગુજરાતમાં બનશે નેશનલ સિક્યુરિટી ગાર્ડનું પ્રાદેશિક કેન્દ્ર
નવી દિલ્હી, 15 જુલાઇ : કેન્દ્ર સરકારે ગુજરાતમાં રાષ્ટ્રીય સુરક્ષા દળ (નેશનલ સિક્યુરિટી ગાર્ડ - NSG)નું પ્રાદેશિક કેન્દ્ર સ્થાપનાની દરખાસ્ત સૈદ્ધાંતિક સ્તરની મંજૂરી માટે મોકલી આપી છે. આ બાબતની માહિતી આજે લોકસભામાં ગૃહ બાબતોના રાજ્યકક્ષાના પ્રધાન કિરણ રિજ્જુએ આપી હતી.
આ અંગેના એક લેખિત જવાબમાં રિજ્જુએ લખ્યું હતું કે 'નેશનલ સિક્યુરિટી ગાર્ડ (એનએસજી) દ્વારા જે સ્થળ યોગ્ય લાગશે ત્યાં પ્રાદેશિક કેન્દ્ર સ્થાપવામાં આવશે. આ હેતુ માટે ગુજરાત સરકારે બે સ્થળોએ જમીન આપવાની રજૂઆત કરી છે. એનએસજીની ટીમે બંને સ્થળોની મુલાકાત લીધી છે અને પોતાનો રિપોર્ટ રજૂ કર્યો છે. હવે રાજ્ય સરકાર દ્વારા દર્શાવવામાં આવેલી જમીન અનુકૂળ છે કે નહીં તે ચકાસવામાં આવશે.'

રિજ્જુએ જણાવ્યું કે ગુજરાત સરકાર એનએસજીના પ્રાદેશિક કેન્દ્રની સ્થાપના માટે નિ:શુલ્ક જમીન પ્રદાન કરવાની તૈયારી દર્શાવી રહી છે ત્યારે આ બાબતને સૈદ્ધાંતિક મંજૂરી મળે તે માટે સરકાર તમામ પ્રકારના પ્રયત્નો કરી રહી છે.
તેમણે જણાવ્યું કે સરકાર અત્યાર સુધીમાં ચાર પ્રાદેશિક એનએસજી કેન્દ્રો સ્થાપી ચૂકી છે. જેમાં તમિલનાડુમાં ચેન્નઇ ખાતે, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં હૈદરાબાદ ખાતે, પશ્ચિમ બંગાળમાં કોલકત્તા ખાતે અને મહારાષ્ટ્રમાં મુંબઇ ખાતે કેન્દ્રો આવેલા છે.












Click it and Unblock the Notifications
