આ 11 મુદ્દા પર ગુજરાતીઓ મત આપશે, જાણો સૌથી મહત્વનો મુદ્દો કર્યો?
ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. હાલ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મુદ્દાની રાજનીતિ કરી હોવાનો દાવો કરી રહી છે ત્યારે આજે અમે કેટલાક એવા મુદ્દાઓ જણાવવા જઈ રહ્યા છીએ, જે ગુજરાતની ચૂંટણીની દશા દિશા નક્કી કરી રહ્યા છે.


સત્તા વિરોધી લહેર
ગુજરાતમાં બીજેપી છેલ્લા 27 વર્ષથી સત્તામાં છે. જેને લઈને ઘણા વર્ગમાં સરકારથી નારાજગીનો માહોલ છે. આ મુદ્દો પણ ચૂંટણીમાં નિર્ણાયક મતદાન કરાવી શકે છે. મોંઘવારી અને બેરોજગારી મુદ્દે લોકોમાં ભારે આક્રોશ છે.

પેપર લીક અને ભરતી વિવાદ
છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી રાજ્યમાં સતત એક પછી એક પેપર લીક થઈ રહ્યા છે. સતત આવી ઘટનાઓને કારણે યુવાનોમાં મોટી નારાજગી છે. યુવાનો આ મુદ્દે ધારે તો પરિણામ બદલી શકે છે.

વીજળીના ઉંચા ભાવ
ગુજરાતમાં વીજળીના ભાવને લઈને મોટી બબાલ છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે પણ રાજ્યના લોકોને દર મહિને 300 યુનિટ મફત વીજળી આપવાનું વચન આપ્યું છે. વીજળીના ઊંચા દરો ગુજરાતના લોકોને અસર કરી શકે છે.

શિક્ષણ
ગુજરાતમાં આમ આદમી પાર્ટી સતત શિક્ષણને મુદ્દો બનાવીને હલ્લો મચાવી રહી છે. સરકારી શાળાઓની કથળતી સ્થિતી અને પ્રાઈવેટ શાળાઓની કમરતોડ ફીને લઈને પરિવારોમાં મોટો ગુસ્સો છે. આ મુદ્દે પણ ચૂંટણીનું પરિણામ બદલાઈ શકે છે.

ખેડૂતોની સમસ્યા અને પાક વિમા વિવાદ
ગુજરાતમાં મોટી આબાદી ખેતી સાથે જોડાયેલી છે ત્યારે રાજ્યના ઘણા વિસ્તારોમાં ખેડૂતો નારાજ છે. ખાતરના વધતા ભાવ અને ભારે વરસાદને કારણે ખેડૂતોને મોટુ નુકસાન થયુ છે. આ સિવાય વિવિધ જિલ્લાઓમા જમીન સંપાદન અને વળતર મુદ્દે ખેડૂતોમાં મોટી નારાજગી છે.

આરોગ્ય
એક તરફ આમ આદમી પાર્ટી શિક્ષણ આરોગ્યનો મુદ્દો સતત ઉઠાવી રહી છે તો બીજી તરફ કોરોનાના સમયમાં પોતાનાના મોતને લઈને પરિવારોમાં ગુસ્સો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મોંઘી થેયલી આરોગ્ય સુવિધાઓ અને સરકારી હોસ્પિટલોની સ્થિતીને લઈને પણ લોકો નારાજ છે.

બિલ્કીસ બાનોના દોષિતોને છોડવાનો નિર્ણય
ગુજરાત સરકાર દ્વારા કેટલાક મહિના પહેલા બિલ્કીસ બાનોના દોષિતોને છોડવામાં આવતા રાજ્યનો એક વર્ગ નારાજ છે. ઘણા લોકો માને છે કે આ મુદ્દો ચૂંટણીના પરિણામોને અસર કરશે. રાજ્યના મુસ્લિમો સાથે ઘણા હિન્દુઓ પર નારાજ છે.

બગડેલા રસ્તા
ગુજરાત અગાઉ તેના સારા રસ્તાઓ માટે જાણીતું હતું. હવે વાસ્તવિકતા બદલાઈ ગઈ છે. ચોમાસા બાદ બિસ્માર હાલતમાં રહેલા રસ્તાને કારણે લોકોમાં મોટી નારાજગી છે.

જમીન સંપાદન
ગુજરાતમાં સરકારી પ્રોજેક્ટ માટે જમીનો સંપાદિત કરવામાં આવી રહી છે તેવા ખેડૂતો અને જમીનમાલિકોમાં અસંતોષ છે. ખેડૂતોએ અમદાવાદ અને મુંબઈ વચ્ચે હાઈ-સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનો વિરોધ કર્યો છે. તેમણે વડોદરા અને મુંબઈ વચ્ચેના એક્સપ્રેસ વે પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનો પણ વિરોધ કર્યો છે.

મોરબી પુલ દુર્ઘટના
હાલમાં જ મોરબીમાં પુલ દુર્ઘટનામાં 135થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ મુદ્દે બીજેપીને ઘેરી રહી છે. હાલમાં જ રાહુલ ગાંધીએ આ મુદ્દે બીજેપી પર પ્રહારો કર્યા હતા. આ સિવાય આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ આ મુદ્દે રાજનીતિ કરી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી
ગુજરાતમાં બીજેપી પીએમ મોદીના નામે મત માંગી રહી છે. ડબલ એન્જિન સરકારના નામે બીજેપી લોકો વચ્ચે ગઈ છે ત્યારે આ ચૂંટણીમાં નરેન્દ્ર મોદીનું નામ એક મોટો મુદ્દો છે. ઘણા લોકો નરેન્દ્ર મોદીના નામે મત આપશે.












Click it and Unblock the Notifications
