ધરપકડ બાદ હાર્દિકનું નિવેદનઃ ખેડૂતોને મળ્યા વિના નહીં જાઉં
મધ્ય પ્રદેશના મંદસૌર જવા નીકળેલ હાર્દિક પટેલની રસ્તામાં જ નીમુચ ખાતે ધરપકડ કરવામાં આવી હતી.
પાસના કન્વીનર અને ગુજરાતના પાટીદાર આંદોલનના મુખ્ય આંદોલનકાર હાર્દિક પટેલ મંગળવારે મધ્ય પ્રદેશના મંદસૌર જવા નીકળ્યાં હતા. મધ્ય પ્રદેશ ખાતે હાલ ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. ખાસ કરીને મંદસૌર ખાતે ખેડૂતોનું આંદોલન ખૂબ ઉગ્ર બન્યું છે. હાર્દિક પટેલ ખેડૂતોની મુલાકાત અર્થે જ મંદસૌર જઇ રહ્યાં હતા, પરંતુ રસ્તામાં જ નીમચ ખાતે મધ્ય પ્રદેશ પોલીસ દ્વારા હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આવી હતી.

મધ્ય પ્રદેશના મંદસૌરમાં ગત અઠવાડિયે આંદોલન ઉગ્ર બનતાં પોલીસે ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં લગભગ 5 ખેડૂતોનું મૃત્યુ થયું હતું. હાર્દિક પટેલ આ મૃતક ખેડૂતોના પરિવારજનોની મુલાકાત માટે મંદસૌર જવા માંગતા હતા. પરંતુ રસ્તામાં જ પોલીસે તેમને રોકી લીધા હતા.
નીમચના સુપરિટેન્ડન્ટ પોલીસ અભિષેક દિવાને જણાવ્યું હતું કે, 'નીમચના નયાગાંવ ખાતેથી હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આવી હતી. હાર્દિક પટેલ સાથે જનતા દળના નેતા એખિલેશ કાટિયારની પણ ધરપકડ કરવામાં આવી હતી. જો કે, થોડી વાર બાદ બંન્નેને જામીન પર છોડવામાં આવ્યા હતા. બંન્નેને પોલીસના વાહનમાં બેસાડી મધ્ય પ્રદેશની બાહર મોકલવામાં આવ્યા હતા.' આ અંગે વાત કરતાં ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ ઓ.પી.શ્રીવાસ્તવે જણાવ્યું કે, 'હાર્દિક પટેલ પાસે મંદસૌરની મુલાકાતની પરવાનગી નહોતી. આ કારણે તેમને મંદસૌરમાં પ્રવેશ આપવામાં નહોતો આવ્યો.'
किसानों से मिले बिना नहीं जाऊँगा।। मामा शिवराज की पुलिस निर्दोष पर तानाशाही कर रही हैं।। pic.twitter.com/8YduYDgAYY
— Hardik Patel (@HardikPatel_) June 13, 2017
આ સમગ્ર ઘટના અંગે હાર્દિક પટેલે ટ્વીટ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, તેઓ મધ્ય પ્રદેશના ખેડૂતોને મળીને જ રહેશે. તેમણે એમ પણ લખ્યું હતું કે, હું કોઇ આતંકવાદી નથી. ભારતનો નાગરિક છું અને મને દેશમાં ઇચ્છું ત્યાં જવાનો પૂરો હક છે. કેન્દ્રની ભાજપ સરકાર પર પ્રહારો કરતાં હાર્દિક પટેલે કહ્યું કે, દેશના 50 કરોડ ખેડૂતો આજે સરકારના વિરોધમાં ઊભા થયા છે.












Click it and Unblock the Notifications
