કેરળમાં અતિભારે વરસાદ, 3 ના મોત, 10 લોકો લાપત્તા!
કેરળના કેટલાક જિલ્લાઓમાં છેલ્લા 2-3 દિવસથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 20 ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદની આવી જ સ્થિતિ રહેશે. કેરળનો ઇડુક્કી જિલ્લો વરસાદથી સૌથી વધુ પ્રભાવિત થયો છે.
તિરુવનંતપુરમ, 16 ઓક્ટોબર : કેરળના કેટલાક જિલ્લાઓમાં છેલ્લા 2-3 દિવસથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 20 ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદની આવી જ સ્થિતિ રહેશે. કેરળનો ઇડુક્કી જિલ્લો વરસાદથી સૌથી વધુ પ્રભાવિત થયો છે. જિલ્લાના થોડુપુઝા વિસ્તારમાં વરસાદના કારણે ત્રણ લોકોના મોત થયા છે. આ સિવાય કોટ્ટાયમ વિસ્તારમાં ભૂસ્ખલનના અહેવાલો છે, જે બાદ 10 લોકો લાપતા હોવાના અહેવાલ છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો હજુ સુધી આ વિસ્તારમાં પહોંચી નથી.
મુખ્યમંત્રી પિનારાયી વિજયને બચાવ કામગીરીમાં ભારતીય વાયુસેનાની મદદ માંગી છે. અહેવાલો અનુસાર, કોટ્ટાયમના વિવિધ ભાગોમાં ભૂસ્ખલનની ચાર ઘટનાઓ બની છે. કેરળ સરકારના એક મંત્રીએ કહ્યું છે કે કોટ્ટાયમ જિલ્લામાં 4 સ્થળો પરથી ભૂસ્ખલનની જાણ થઈ છે, અમે કોટ્ટાયમ વિસ્તારમાં ફસાયેલા લોકોને બચાવવા માટે એરફોર્સની મદદ માંગી છે. તમને જણાવી દઈએ કે શુક્રવાર રાતથી કેરળના ઘણા જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યના પાંચ જિલ્લાઓમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે, જેમાં પઠાનમથિટ્ટા, કોટ્ટાયમ, એર્નાકુલમ, ઇડુક્કી અને ત્રિશૂરનો સમાવેશ થાય છે.
કેરળના મુખ્યમંત્રીએ પથનામથિટ્ટા, ઇડુક્કી, અલપ્પુઝા, એર્નાકુલમ, કોટ્ટાયમ અને ઇડુક્કીમાં એનડીઆરએફની છ ટીમો તૈનાત કરી છે. સેનાની બે ટીમોને તિરુવનંતપુરમ અને કોટ્ટાયમ જિલ્લાઓમાં તૈનાત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે, જ્યારે કોઈ પણ કટોકટીની સ્થિતિમાં વાયુસેનાને સ્ટેન્ડબાય રહેવાની વિનંતી કરવામાં આવી છે.
કેરળમાં ભારે વરસાદને કારણે થયેલી તબાહીને વર્ણવતા ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યા છે. આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં કેએસઆરટીસીની એક બસ પુરના પાણીમાં ફસાઈ ગઈ છે. તે બસમાં મુસાફરો પણ છે, જે પાણીમાં અટવાઇ ગયા છે. તે મુસાફરો સાથે સ્થાનિક લોકો દોરડાથી બસ ખેંચવાનો પ્રયાસ કરી રહ્યા છે.