દેશને નામ પીએમ મોદીના સંબોધનની મહત્વની વાતો
દેશને નામ પીએમ મોદીના સંબોધનની મહત્વની વાતો
નવી દિલ્હીઃ વડાપ્રદાન નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રને સંબોધિત કર્યું. કોરોના વાયરસ મહામારી શરૂ થયા બાદ વડાપ્રધાન મોદીનું આ સાતમું સંબોધન છે. અગાઉ મંગળવારે સવારે પીએમ મોદીએ ટ્વીટ કરી લખ્યું હતું કે, આજે સાંજે છ વાગ્યે રાષ્ટ્રને નામ સંદેશો આપીશ. તમે જરૂર જોડાશો. સંબોધનમાં પીએમ મોદીએ કોરોના વાયરસથી ફેલાતા સંક્રમણને રોકવાને લઈ કેટલીય મહત્વની વાતો કહી. આવો અહીં જણાવીએ પીએમ મોદીના સંબોધનની મહત્વની વાતો...
પીએમ મોદીએ કહ્યું કે કોરોના વિરુદ્ધ જનતા કર્ફ્યૂથી લઈ આજ સુધી આપણે બધા ભારતીયોએ લાંબી સફર ખેડી છે. સમય સાથે આર્ધિક ગતિવિધિઓમાં પણ ધીરે ધીરે તેજી આવી રહી છે. આપણામાથી મોટાભાગના લોકો પોતાની જવાબદારીઓ નિભાવવા માટે, ફરીથી જીવનને ગતિ આપવા માટે રોજ ઘરેથી બહાર નીકળી રહ્યા છે. તહેવારોની આ મોસમમાં બજારોમાં પણ રોનક પરત ફરી રહી છે. પરંતુ આપણે ભૂલવું ના જોઈએ કે લૉકડાઉન ભલે ચાલ્યુ ગયું હોય, વાયરસ નથી ગયો. ગત 7-8 મહિનામાં પ્રત્યેક ભારતીયના પ્રયાસથી ભારત આજે જેવી સંભાળેલી સ્થિતિમાં છે, આપણે તેને બગડવી ના દેવી જોઈએ.
પીએમ મોદીએ કહ્યું કે આજે દેશમાં રિકવરી રેટ સારો છે, મૃત્યુ દર ઘટ્યો છે. દુનિયાના સાધન-સંપન્ન દેશોની સરખામણીએ ભારત પોતાના વધુથી વધુ નાગરિકોના જીવ બચાવવામા સફળ રહ્યું છે. કોવિડ 19 મહામારી વિરુદ્ધ લડાઈમાં ટેસ્ટની વધતી સંખ્યા આપણી મોટી તાકાત રહી છે. સેવા પરમો ધર્મના મંત્ર પર ચાલતાં આપણા ડૉક્ટર નર્સ, હેલ્થ વર્કર્સ આટલી મોટી આબાદીની નિઃસ્વાર્થ સેવા કરી રહ્યા છે. આ તમામ પ્રયાસો વચ્ચે આ સમય લાપરવાહ થવાનો નથી. આ સમય એમ માની લેવાનો નથી કે કોરોના ચાલ્યો ગયો, અથવા તો હવે કોરોનાથી કોઈ ખતરો નથી. હાલના દિવસોમાં આપણે બધાએ ઘણી તસવીરો, વીડિયા જોયા જેમાં લોકો સાવધાની વરતવાનું છોડી રહ્યા છે તે જોવા મળી રહ્યું છે.
પીએમ મોદીએ કહ્યું કે જો તમે લાપરવાહી વરતી રહ્યા છો, માસ્ક વિના નિકળી રહ્યા છો તો તમે તમારા પરિવારને તમારા બાળકોને તમારા વૃદ્ધોને મોટા સંકટ તરફ ધકેલી રહ્યા છો. ધ્યાન રાખો, આજે અમેરિકા હોય, અથવા યૂરોપના બીજા દેશ, આ દેશોમાં કોરોનાના મામલા ઘટી રહ્યા છે, પરંતુ અચાનક ફરીથી વધવા લાગ્યા. જ્યાં સુધી સંપૂર્ણ સફળતા ના મળી જાય, લાપરવાહી ના કરવી જોઈએ. જ્યાં સુધી આ મહામારીની વેક્સીન નથી આવતી, આપણે કોરોના વાયરસની લડાઈને કમજોર ના પડવા દેવી જોઈએ.
પીએમ મોદીએ વેક્સીન વિતરણને લઈ કહ્યું કે કોરોનાની વેક્સીન જ્યારે પણ આવશે જલદી જ પ્રત્યેક ભારતીયો સુધી પહોંચશે તેના માટે પણ સરકારની તૈયારીઓ ચાલુ છે. એક-એક નાગરિક સુધી વેક્સીન પહોંચે, તેના માટે તેજીથી કામ થઈ રહ્યું છે. વરસો બાદ આપણે એવું થતું જોયું કે માનવતા બચાવવા માટે યુદ્ધસ્તરે કામ થઈ રહ્યું છે. અનેક દેશ આના માટે કામ કરી રહ્યા છે. આપણા વૈજ્ઞાનિકો પણ વેક્સીન માટે જીવ જોખમમાં નાખી કામ કરી રહ્યા છે. ભારતમાં હાલ કોરોનાની કેટલીય વેક્સીન પર કામ ચાલી રહ્યું છે. જેમાંથી કેટલીક વેક્સીન એડવાન્સ સ્ટેજ પર છે.