હનીપ્રીતના પૂર્વ પતિ વિશ્વાસ ગુપ્તાએ કર્યો ચોંકાવનારો ખુલાસો
હનીપ્રીતના પૂર્વ પતિ વિશ્વાસ ગુપ્તાએ ગુરમીત રામ રહીમ અને હનીપ્રીતના સંબંધો અંગે ખુલાસો કર્યો હતો.
ગુરમીત રામ રહીમ સિંહને જેલની સજા થયા બાદ નાસી છૂટેલી હનીપ્રીત ઇંસાના પૂર્વ પતિ વિશ્વાસ ગુપ્તાએ મીડિયા સામે મોટું નિવેદન આપ્યું છે. હનીપ્રીત પર દેશદ્રોહ સહિત ઘણા આરોપો છે અને હાલ હરિયાણા પોલીસ તેની તપાસમાં વ્યસ્ત છે. બાબા રામ રહીમ અને તેની દત્તક પુત્રી હનીપ્રીતના સંબંધો અંગે અનેક વાતો ચગી રહી છે. એવામાં વિશ્વાસ ગુપ્તાએ પણ શુક્રવારે મીડિયા સામે આવી ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.
રામ રહીમે જ કરાવ્યા હતા લગ્ન
વિશ્વાસે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, તેના માતા-પિતા ડેરાના સમર્થક હતા અને આથી તે નાનપણથી જ ડેરામાં રહ્યો હતો. તેની અને રામ રહીમ વચ્ચે પહેલા ઘણા સારા સંબંધ હતા. ત્યારે તેમના મોટા ભાગના કામ બાબા રામ રહીમના કહેવા અનુસાર જ થતા હતા. વર્ષ 1999માં વિશ્વાસ ગુપ્તા અને હનીપ્રીતના લગ્ન પણ બાબા રહીમે જ નક્કી કર્યા હતા. ત્યાં સુધી વિશ્વાસે હનીપ્રીતને જોઇ પણ નહોતી. વિશ્વાસે આ અંગે કહ્યું કે, 'લગ્ન બાદ રામ રહીમે મને કહ્યું કે તે હનીપ્રીતને પોતાની દીકરી માને છે અને મને જમાઇ. લગ્ન પછી હનીપ્રીત કોઇ ને કોઇ બહાને રામ રહીમ પાસે જ જતી રહેતી અને રામ રહીમનું પણ કહેવું હતું કે, તે મારી પુત્રી છે આથી મારી સાથે રહી શકે છે.'
બાબા રામ રહીમ રમાડતા બિગ બોસ
'1999થી 2009 સુધી આમ જ ચાલતુ રહ્યું અને હનીપ્રીત બાબા સાથે જ વધુ રહેતી હતી. અમને ડેરામાં બિગ બોસ રમત પણ રમાડવામાં આવી હતી, જેમાં અમે 6 કપલે ભાગ લીધો હતો. આ ગેમમાં ભૂલ થતા સજા આપવામાં આવતી હતી, સજા હતી કે તમારે અલગ રૂમમાં જઇને બાબાના નામનું સ્મરણ કરવું. મેં જોયું કે, આ એનાઉન્સમેન્ટ બાદ હનીપ્રીત જાણી-જોઇને ભૂલો કરતી અને અલગ રૂમમાં જતી રહેતી. અમે જે રૂમમાં સ્મરણ કરવા બેસતા હતા એ રૂમનું ધ્યાનથી નીરિક્ષણ કરતા મને ખ્યાલ આવ્યો કે ત્યાં એક બીજો દરવાજો પણ હતો. મને શંકા પડી કે હનીપ્રીત સજાના બહાને એ દરવાજાથી નીકળી રામ રહીમ પાસે જતી હતી. તે માત્ર ટાસ્ક કરવા માટે જ બહાર આવતી હતી.'
|
રામ રહીમે હનીપ્રીતને દત્તક નહોતી લધી
'રામ રહીમે હનીપ્રીતને કાયદેસર રીતે દત્તક લેવાની પ્રક્રિયા પૂર્ણ નહોતી કરી. આ સંબંધ માત્ર દેખાડા માટે હતો. લગ્ન પછી લગભગ દરેક અઠવાડિયે મને અને હનીપ્રીતને બાબાની ગુફામાં બોલાવવામાં આવતા હતા. તે સમયે મને બહાર બેસાડવામાં આવતો અને હનીપ્રીત અંદર જતી. મેં જ્યારે આની સામે વાંધો લીધો, તો મને ડરાવી-ધમકાવીને મારું મોઢું બંધ કરવામાં આવ્યું. એકવાર મેં હનીપ્રીત અને રામ રહીમને આપત્તિજનક પરિસ્થિતિમાં સાથે જોયા હતા. મેં મારા માતા-પિતાને આ અંગે બધુ જણાવ્યું અને 2011માં મેં સિરસા છોડી દીધું.'
|
હજુ પણ પાવરફુલ છે રામ રહીમ
'ડેરાના લોકો અને રામ રહીમ તરફથી મને સતત ધમકાવવામાં આવતો હતો. મારા ઘરની બહાર ડેરાના કેટલાક લોકો જાસૂસી કરતા હતા. ડિવોર્સનો કેસ દાખલ કર્યા બાદ મારી પર દહેજનો ખોટો કેસ કરવામાં આવ્યો. મારી હત્યા કરવાનો પણ પ્રયત્ન થયો હતો. આખરે 2014માં અમે હારીને ડેરા પર પત્ર લખી માફી માંગી અને તમામ જૂની વાતો ભૂલી જવાની શરતે અમને માફી મળી. જેલમાં હોવા છતાં પણ રામ રહીમ ખૂબ પાવરફુલ છે. આ પત્રકાર પરિષદમાંથી બહાર નીકળ્યા બાદ ખબર નહીં, તમે મને બીજી વાર જોઇ શકશો કે કેમ!'