ચંદીગઢ ભારતનું પ્રથમ ઝુંપડામુક્ત શહેર બનશે : PM
ચંદીગઢ, 14 સપ્ટેમ્બર : વડાપ્રધાન મનમોહન સિંહે શનિવારે આશા વ્યક્ત કરી હતી કે આગામી થોડા સમયમાં ચંદીગઢ ભારતનું સૌપ્રથમ ઝુંપડાંમુક્ત શહેર બનશે. વડાપ્રધાને આ આશાવાદ ઝુંપડાવાસીઓને માટે તૈયાર કરવામાં આવેલા ફ્લેટ્સની ચાવીઓ તેમને આપવાના એક જાહેર કાર્યક્રમમાં વ્યક્ત કર્યો હતો.
વડાપ્રધાન કેન્દ્ર શાસિત ચંદીગઢના ધનાસ વિસ્તારમાં શહેરની ઝુંપડાં પુનર્વસન યોજના અંતર્ગત તૈયાર થયેલા ફ્લેટ્સના 10 જેટલા લાભાર્થીઓને ફ્લેટના દસ્તાવેજો અને ચાવીઓ આપવાના એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાને જણાવ્યું કે "ઝડપી શહેરીકરણને કારણે શહેરો પર ભારણ વધી રહ્યું છે. ભારતમાં અંદાજે 10 કરોડ લોકો ઝુંપડાંમાં રહે છે. જેના કારણે શહેરી વિકાસ કેન્દ્રો પર ઝડપી શહેરીકરણને કારણે ઉભી થતી સમસ્યાઓને દુર કરવાનું ભારણ વધે છે."
આ પ્રસંગે ચંદીગઢ સત્તામંડળને અભિનંદન પાઠવતા વડાપ્રધાને જણાવ્યું કે ઝુંપડા પુનર્વસન જેવી યોજનાઓને કારણે ચંદીગઢને ઝુંપડાંમુક્ત શહેર બનાવવામાં ઘણી મદદ મળશે. આ યોજના હેઠળ 8, 448 લાભાર્થીઓને ફ્લેટ આપવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટ માટે કેન્દ્રએ રૂપિયા 436.60 કરોડની સહાયતા આપી હતી. જ્યારે ચંદીગઢ સત્તામંડળે રૂપિયા 585.15 કરોડ રૂપિયાની સહાય કરી છે.