ગુજરાત જેવો વિકાસનો પ્રકાશ દેશમાં ક્યાંય નથી : અડવાણી
કોરબા, છત્તિસગઢ, 16 સપ્ટેમ્બર : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પહેલા લોકસભા ચૂંટણી માટે પાર્ટીના પ્રચાર સમિતિના અધ્યક્ષ જાહેર કરવામાં આવ્યા ત્યારે અને પછી 13 સપ્ટેમ્બરના રોજ તેમને બીજેપીના વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરાતા લાલકૃષ્ણ અડવાણી નારાજ હતા. અને આ બંને પ્રસંગે લાલકૃષ્ણ અડવાણે પાર્ટીના અધ્યક્ષ રાજનાથ સિંહને પોતે નારાજ હોવાનો પત્ર પાઠવ્યો હતો. જોકે અડવાણીએ આજે એક સભામાં મોદીના ભરપૂર વખાણ કર્યા હતા.
લાલકૃષ્ણ અડવાણી છત્તિસગઢના કોરબા ખાતે ભાજપની સભાને સંબોધી રહ્યા હતા, દરમિયાન તેમણે રાજ્ય સરકારના વિકાસના કાર્યો માટે મુખ્યમંત્રી રમણસિંહના ભરપૂર વખાણ કર્યા. તેમણે જણાવ્યું કે રમણ સિંહ અને તેમના મંત્રીઓને હું નમસ્કાર કરું છું જેમણે છેવાડાના ગામો સુધી વીજળી પહોંચાડી અને ખેડૂતોને 24 કલાક વીજળી પૂરી પાડી.
મારા સાથી નરેન્દ્ર મોદીએ તેમના ગુજરાતમાં જ્યાંનો હું પણ સાંસદ છું ત્યાં વીજળી દરેક ગામ સુધી, દરેક નાગરિક સુધી અને દરેક ખેડૂત સુધી પહોંચાડી છે. અને દેશમાં આ કામ કરનાર મોદી પહેલા છે.
આ ઉપરાંત અડવાણીએ લોકોને ભાજપના વિકાસ કાર્યોથી અવગત કરાવ્યા અને વધારે મજબૂતાઇથી આવનારી વિધાનસભા ચૂંટણીમાં એકવાર ફરી ભાજપને જીતાડવા માટે આહ્વાન કર્યું.