અમેઠી, 1 એપ્રિલ: આમ આદમી પાર્ટીના નેતા અને અમેઠીથી ઉમેદવાર કુમાર વિશ્વાસે તેમના મત વિસ્તારથી ભાજપ તરફથી સ્મૃતિ ઇરાણીને ઊભી રાખતા વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, અમેઠીમાં ઇરાણી આવે કે પાકિસ્તાની આવે કોઇ ફર્ક નથી પડતો. એટલું જ કુમારે રાહુલ ગાંધી પર નિશાનો સાધતા જણાવ્યું કે અમેઠીમાં પહેલાથી જ રાજનૈતિક અભિનેતા રાહુલ ગાંધી હતા હવે વધુ એક ટીવી એક્ટર આવી ગઇ છે. અમેઠીની જનતા તો અભિનેતાઓથી કંટાળી ગઇ છે. રાહુલ હંમેશા અહીં આવે છે અને લોકોની વચ્ચે ખોટા વચનો આપીને જતા રહે છે. તેમના અભિનયની કળાને જનતા પહેલાથી જ જોઇ ચૂકી છે, અને હવે વધુ એક અભિનેત્રી આવી ગઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપે ગઇકાલે જ સ્મૃતિ ઇરાણીને અમેઠીથી રાહુલ ગાંધીની વિરુધ્ધ ઉમેદવાર બનાવ્યા છે. કુમારે રાહુલ અને સ્મૃતિ બંને પર નિશાનો સાધતા જણાવ્યું છે કે આ વખતે એક્ટરોની નહીં ચાલે અને અમેઠીની જનતા સાચો અને યોગ્ય નિર્ણય કરશે. રાહુલ અમેઠીમાં 2 વખત સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યા છે, હવે જોવાનું એ છે કે શું તે જીતની હેટ્રીક લગાવી શકે છે.
અત્રે નોંધનીય છે કે આપ નેતા કુમાર વિશ્વાસ છેલ્લા ઘણા મહિનાઓથી અમેઠીમાં પોતાનું આસન જમાવીને બેસી ગયા છે. અને રાહુલ ગાંધી પર નિશાનો સાધવાની કોઇ તક નથી છોડતા. જ્યારે હવે સ્મૃતિ ઇરાણી પણ રાહુલ ગાંધીને ટક્કર આપવા માટે ચૂંટણી મેદાનમાં કૂદી ચૂકી છે.