આ દિલ્હીમાં થઈ શું રહ્યું છે? પહેલા હત્યા અને હવે દિન દહાડે ATM વેનમાં લૂંટ ચલાવી ગાર્ડને ગોળી મારી
દિલ્હી પોલીસે જણાવ્યુ કે, વજીરાબાદમાં કેશ વેન ગાર્ડની હત્યા કરીને બદમાશોએ વેનમાંથી પૈસાની લૂંટ ચલાવી છે. મૃતકની ઓળખ 55 વર્ષીય જય સિંહ તરીકે થઈ છે. લૂંટની રકમ લગભગ આઠ લાખ રૂપિયા છે.
નવી દિલ્હી : ભારતની રાજધાની દિલ્હી ફરીથી એક વખત ક્રાઈમની રાજધાની બની રહી છે. હાલમાં જ કાંઝાવાલા અકસ્માતની ઘટનાના દાઘ ભુંસાયા નથી ત્યારે હવે ફરીથી એક ખૌફનાક ઘટના સામે આવી છે.
સામે આવી રહેલી માહિતી અનુસાર, દિલ્હીના વજીરાબાદમાં લૂંટારૂઓએ એટીએમમાં લૂંટ ચલાવીને સિક્યુરીટી ગાર્ડને ગોળી મારી દીધી છે. દિલ્હી પોલીસે જણાવ્યુ કે, વજીરાબાદમાં કેશ વેન ગાર્ડની હત્યા કરીને બદમાશોએ વેનમાંથી પૈસાની લૂંટ ચલાવી છે. મૃતકની ઓળખ 55 વર્ષીય જય સિંહ તરીકે થઈ છે. લૂંટની રકમ લગભગ આઠ લાખ રૂપિયા છે.
પોલીસે વધુમાં જણાવ્યુ કે, કેશ વેન જગતપુર ફ્લાયઓવર પાસે આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમમાં રોકડ જમા કરાવવા પહોંચી હતી. અહીં બદમાશોએ કેશ વેનના ગાર્ડને ગોળી મારીને રોકડની લૂંટ ચલાવી હતી. કેશ વેન ગાર્ડનું મોત થયુ છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે.
દિલ્હી પોલીસે વધુ માહિતી આપતા જણાવ્યુ કે, કેશ વેન લૂંટ ફાયરિંગની ઘટના મંગળવારે સાંજે લગભગ 5 વાગ્યે બની છે. વેન એટીએમમાં રોકડ જમા કરવા માટે જગતપુર ફ્લાયઓવર પાસે સાંજે 4:50 વાગ્યે પહોંચી હતી. ત્યારપછી બદમાશોએ પાછળથી આવીને કેશ વેનના ગાર્ડ પર ફાયરિંગ કર્યું હતું. ગાર્ડને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયો હતો. અહીં તેને મૃત જાહેર કરાયો છે.
એક પોલીસ અધિકારીએ આ મુદ્દે જણાવ્યું કે, અત્યાર સુધી જાણવા મળ્યું છે કે 8 લાખની લૂંટ થઈ છે. કેશ વેનનો અન્ય એક કર્મચારી જેની પાસે રોકડની લોગબુક છે તે ઘાયલ ગાર્ડ સાથે હોસ્પિટલ ગયો હતો. અમે હજુ પણ લૂંટવામાં આવેલી ચોક્કસ રકમની ચકાસણી કરવાની પ્રક્રિયામાં લાગ્યા છીએ.