ભારતે બ્રિટનની વેક્સીનેશન પોલિસીને ભેદભાવપૂર્ણ નીતિ ગણાવી
ભારતે ભારતીયો અંગે બ્રિટનની નવી રસી નીતિને ભેદભાવપૂર્ણ નીતિ ગણાવી છે, જેમાં રસીના બંને ડોઝ લેનારાઓને પણ ફરજિયાત ક્વોરેન્ટાઇનમાં રહેવાનું કહેવામાં આવ્યું છે.
નવી દિલ્હી : ભારતે ભારતીયો અંગે બ્રિટનની નવી રસી નીતિને ભેદભાવપૂર્ણ નીતિ ગણાવી છે, જેમાં રસીના બંને ડોઝ લેનારાઓને પણ ફરજિયાત ક્વોરેન્ટાઇનમાં રહેવાનું કહેવામાં આવ્યું છે. ભારતે એમ પણ કહ્યું છે કે, બ્રિટને પોતે ભારતમાં બનાવેલી રસીનો ઉપયોગ કર્યો છે. યુકેના નવા નિયમો અનુસાર, ભારતીય પ્રવાસીઓ કે, જેમણે સીરમ સંસ્થા દ્વારા ઉત્પાદિત કોવિડશિલ્ડ રસીના બંને ડોઝ લીધા છે, તેમને રસી વગર ગણવામાં આવશે. અને તેમને 10 દિવસના સમયગાળા માટે ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે.
વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલું નિવેદન
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મુખ્ય મુદ્દો એ છે કે, યુકે કોવિડશિલ્ડ રસીનું મુખ્ય ઉત્પાદક છે. અમે યુકેને તેમની વિનંતી પર રસીના 5 મિલિયન ડોઝ પહોંચાડ્યા છે, જેનો ઉપયોગ તેમના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. કોવિશિલ્ડને માન્યતા ન આપવી એ ભેદભાવપૂર્ણ નીતિ છે. વિદેશ મંત્રીએ તેમના યુકે સમકક્ષ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે. આ બાબતને વહેલી તકે ઉકેલવાની ખાતરી આપવામાં આવી છે.
વિદેશ મંત્રીએ ઉઠાવ્યો મુદ્દો
વિદેશ મંત્રી એસ જયશંકરે મંગળવારના રોજ એક બેઠક દરમિયાન યુકેના વિદેશ મંત્રી સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને મડાગાંઠના વહેલા નિરાકરણ માટે વિનંતી કરી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમે અમારા ભાગીદાર દેશોને રસીઓની પરસ્પર માન્યતા આપવાની ઓફર કરી છે, પરંતુ આ પારસ્પરિક પ્રક્રિયાઓ છે. જો અમે સંતુષ્ટ નથી, તો અમે પારસ્પરિક પગલાં લાગુ કરવા માટે મુક્ત હોઈશું. વિદેશ મંત્રી જયશંકરે બેઠક બાદ કહ્યું કે, તેમણે પરસ્પર હિતમાં મડાગાંઠના વહેલા ઉકેલ માટે વિનંતી કરી છે.
યુએસની વિઝા પોલિસી પર પણ નિવેદન
યુએસએ કહ્યું છે કે, તે રસી મેળવેલા ભારતીયો અને અન્ય નાગરિકો માટે નવેમ્બરથી હવાઈ મુસાફરી શરૂ કરશે. મુસાફરીના નિયમોમાં છૂટછાટનો જવાબ આપતા સરકારે કહ્યું, ભારતીય વિદ્યાર્થીઓ માટે વિઝા આપવામાં આવે છે અને ઝડપી કામગીરી કરવામાં આવે છે. હવે અમે સંપૂર્ણ રસીકરણ કરાયેલા ભારતીય વ્યાવસાયિકોને વિઝા આપવાનું વિચારી રહ્યા છીએ. આ સકારાત્મક પગલું હશે.