ચીને પીછેહઠ માટે સોદો કર્યો : ભારત પાસેથી ચુમાર બંકર મેળવ્યું!!!
લદાખમાં ભારત અને ચીન વચ્ચેના ટેન્શનને સમાપ્ત કરવા માટે શું કોઇ ડીલ થઇ હતી? જી હા, ડીલ થઇ હતી. અંગ્રેજી દૈનિક ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર બંને દેશો વચ્ચે એક ડીલ થઇ છે. અખબારના જણાવ્યા પ્રમાણે ચુમારમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પાસે ભારતીય સેના પોતાના બંકરોને હટાવી લેશે. ટાઇમ્સના જણાવ્યા પ્રમાણે ચીન સાથેના ડખ્ખાને સમાપ્ત કરવામાં સામેલ સલામતી દળોના નજીકના સુત્રો અને ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિને જાણતા લોકોએ અખબારને જણાવ્યું હતું કે, ચીની સેના લદાખના દેપસાંગથી ત્યારે જ ગઇ કે જયારે ભારતીય સેના ચુમારથી બંકર નષ્ટ કરવા માટે તૈયાર થઇ.
આ બંકર પરથી જ ભારતીય જવાનો કરાકોરમ હાઇવે ઉપર નજર રાખતા હતા. ભારતીય સૈનિકો રોજ ચુમાર પોસ્ટથી બંકર સુધી પેટ્રોલીંગ કરતા હતા. અચાનક ભારતીય સૈનિક પેટ્રોલિંગ દરમિયાન ભારતીય સીમામાં 19 કિ.મી. અંદર ચીની સૈનિકોના તંબુ જોઇને ચોંકી ગયા હતા. ચીને શરત મુકી હતી કે ભારત પૂર્વી લદાખમાં સ્થાયી નિર્માણનું કામ બંધ કરી દે. આ શરત પર જ ચીન સીમા પર 15 એપ્રિલથી પહેલાની સ્થિતિ યથાવત કરવા માટે રાજી થયું હતું.
ચીને અનેક વખત ચુમાર પોસ્ટ પર ભારતે લગાવેલા કેમેરાના તાર કાપવાના પ્રયાસો કર્યા હતા. 21મી એપ્રિલની બીજી ફલેગ મીટીંગમાં જ ચીને ચુમાર પોસ્ટ અંગે વાંધો ઉઠાવતા તેને નષ્ટ કરવા જણાવ્યું હતું. ભારત તરફથી જણાવાયું હતું કે, તે બર્ફીલી હવાઓથી બચાવ માટે તે રાખવામાં આવેલ છે પરંતુ ચીન માન્યું ન હતું. ભારત પોતાની સીમામાં સ્થિત ચુમાર પોસ્ટથી ભારતીય સૈનિકોને પાછળ હટાવી રહ્યુ છે. જો કે લશ્કર તેને અફવા જ ગણાવે છે.
ચીને પહેલા જ ભારત દ્વારા દોલતાબેગ, ફુકચે અને ન્યોમામાં કરવામાં આવેલા નિર્માણ કાર્યોથી નારાજ હતુ. લાઇમ ઓફ એકચ્યુઅલ કંટ્રોલ પર છેલ્લા 4 થી 5 વર્ષથી ભારત દ્વારા આધારભુત માળખુ વિકસિત કરવાને લઇને પણ ચીન નારાજ હતુ. આ નિર્માણ કાર્યોથી પુર્વી લદાખમાં ભારતીય સેનાનું મુવમેન્ટ સરળ થઇ ગયુ હતુ અને જે ચીનને ખટકતું હતું.
ચીનના સૈનિકો તો પાછા હટયા પણ ભારતીય જવાનો કેમ પાછા હટયા? ઉંમર અબ્દુલ્લાનો સવાલ લદાખ ક્ષેત્રમાં ઘુસેલા ચીની સૈનિકોને પીછેહઠ કરવાની બાબતે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉંમર અબ્દુલ્લાએ જયાં કેન્દ્ર સરકારની કુટનીતિને વખાણી તો ભારતીય સેનાએ કરેલી પીછેહઠ બાબતે વાંધો ઉઠાવ્યો છે. તેમણે કહ્યુ છે કે કેન્દ્ર સરકારે લદાખની વાસ્તવિક હકીકત સ્પષ્ટ કરવી જોઇએ. ચીન તો આપણા વિસ્તારમાંથી પાછુ હટયુ પરંતુ ભારત દોલતબેગ ઓલ્ડી ક્ષેત્રમાં કઇ જગ્યાએથી પાછળ હટયું તે સમજાતુ નથી! તેઓ કહે છે કે, વાસ્તવિક નિયંત્રણ રેખા પાસેનો વિસ્તાર તો ભારતનો છે.