back-channel diplomacy: ભારત-પાકિસ્તાન વચ્ચે બેક ચેનલ દ્વારા થઇ રહી છે વાતચીત? PAKએ આપ્યો જવાબ
ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ચાર વર્ષ પહેલા પુલવામા હુમલા બાદ ભારતે બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરી હતી. ત્યારથી ભારત અને પાકિસ્તાન વચ્ચેના તમામ સંબંધો વણસ્યા હતા.
ભારત-પાકિસ્તાન વચ્ચેની પરિસ્થિતિમાં સુધારો થવાનો હાલ કોઈ અવકાશ નથી. ફેબ્રુઆરી 2019માં પુલવામા હુમલા બાદથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી રહી છે. જો કે, પાકિસ્તાનમાં એવી અટકળો વહેતી થઈ હતી કે સરકાર પડદા પાછળ ભારત સાથે વાટાઘાટો કરી રહી છે. પરંતુ પાકિસ્તાને ગુરુવારે સ્પષ્ટ કર્યું કે તે પડદા પાછળ ભારત સાથે વાત નથી કરી રહ્યું.

પડદા પાછળ કોઈ વાતચીત નથી થઇ રહી
પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે પાકિસ્તાન અને ભારત વચ્ચે કોઈ બેક-ચેનલ વાતચીત નથી. મુમતાઝ ઝહરા બલોચે કહ્યું કે હાલમાં પાકિસ્તાન અને ભારત વચ્ચે કોઈ બેકચેનલ નથી. બલોચે કહ્યું કે ફેબ્રુઆરી 2019 માં, પુલવામા આતંકી હુમલા પછી, ભારતીય વાયુસેનાના વિમાનોએ બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના ટ્રેનિંગ કેમ્પ પર બોમ્બમારો કર્યો, ત્યારબાદ બંને દેશો વચ્ચેના સંબંધો વધુ તંગ બની ગયા હતા.

સિંધુ જળ સંધિનુ કર્યુ ઉલ્લંઘન
પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ કાર્યાલયના પ્રવક્તા મુમતાઝ બલોચે ભારત પર આરોપ લગાવ્યો કે ભારતની કિશનગંગા અને રાતલે હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ બંને દેશો વચ્ચે થયેલી સિંધુ જળ સંધિનું ઉલ્લંઘન છે. બલોચે કહ્યું કે પાકિસ્તાન માને છે કે આ પ્રોજેક્ટ્સ સિંધુ જળ સંધિની જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને વિકસાવવામાં આવ્યા છે. પ્રવક્તાએ કહ્યું કે આ મામલાઓમાં, પાકિસ્તાન પક્ષ દ્વારા યોગ્ય રીતે રજૂ કરવામાં આવ્યું છે, અમને ખાતરી છે કે અમારી પાસે નક્કર કેસ છે. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા વિદેશ રાજ્ય મંત્રી હિના રબારી ખારે પણ સેનેટમાં કહ્યું હતું કે પડદા પાછળ ભારત-પાકિસ્તાનની કોઈ વાતચીત નથી થઈ રહી.

એસ જયશંકરે અરીસો બતાવ્યો
તમને જણાવી દઈએ કે ભારત સતત કહેતું આવ્યું છે કે તે પાકિસ્તાન સાથે સામાન્ય પડોશી સંબંધો ઈચ્છે છે, પરંતુ આવા સંબંધો માટે ઈસ્લામાબાદે પહેલા આતંકવાદ અને અશાંતિ મુક્ત વાતાવરણ બનાવવું જોઈએ. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે ગંભીર આર્થિક સંકટમાં ભારતે શ્રીલંકાની મદદ કરી છે, પરંતુ પાકિસ્તાન સાથેના અમારા સંબંધો સંપૂર્ણપણે અલગ છે. તેમણે કહ્યું કે આજે અમારો પાકિસ્તાન સાથે એવો સંબંધ નથી કે અમે તે પ્રક્રિયામાં સીધા સામેલ થઈ શકીએ. આમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધવાનું આપણા પડોશી દેશ પર નિર્ભર છે.












Click it and Unblock the Notifications
