પ્રણવ મુખર્જી-દલાઇ લામાની મુલાકાત અંગે ચીનને ભારતનો સણસણતો જવાબ
ધર્મગુરુ દલાઇ લામા અને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની મુલાકાત પર ચીને વિરોધ નોંધાવતા ભારતનો વળતો પ્રહાર. ભારતે કહ્યું કે આ મુલાકાતને ચીન રાજકારણથી દૂર રાખે, આ બંન્નેની મુલાકાત કોઇ રાજકાણીય મીટિંગ નહોતી.
ચીને ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને ધર્મગુરુ દલાઇ લામાની મુલાકાતની નિંદા કરી વિરોધ નોંધાવતા ભારતે ચીન સામે વળતો પ્રહાર કર્યો છે. શુક્રવારે ભારતે આ મુદ્દે ચીનને સણસણતો જવાબ આપ્યો છે. ભારતે પ્રણવ મુખર્જી અને દલાઇ લામાની મુલાકાતને બિન-રાજકારણીય ગણાવતાં કહ્યું છે કે, ચીન આ મુલાકાતને રાજકારણથી દૂર રાખે.
અહીં વાંચો - કેજરીવાલ: PM મોદી નિયત સારી નથી, રાહુલથી થઇ છે ડીલ?
ભારતનો જવાબ
થોડા દિવસો પહેલાં તિબેટના 14મા ધર્મગુરુ દલાઇ લામા નોબેલ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થીના ચિલ્ડ્રન્સ ફાઉન્ડેશનના કાર્યક્રમમાં સહભાગી થવા માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા, જ્યાં તેમની મુલાકાત રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાથે થઇ હતી. ભારતે આ મુદ્દે કહ્યું છે કે, દલાઇલામા એક ધર્મ નેતા છે અને જે સમારંભમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી તથા દલાઇલામાની મુલાકાત થઇ હતી, તે બિન-રાજકારણીય સમારંભ હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે જણાવ્યું હતું કે, "દલાઇલામાને એક ધાર્મિક નેતા તરીકે સન્માન મળ્યું છે. વળી, તેમણે જે કાર્યક્રમમાં હાજરી આપી હતી તે બાળકોના કલ્યાણ સાથે સંબંધિત બિન-રાજકારણીય કાર્યક્રમ હતો."
ચીને સંબંધ બગાડવાની ચીમકી આપી
દલાઇ લામા અને રાષ્ટ્રપતિની મુલાકાત પર ચીને કહ્યું હતું કે, ભારતે તેના મૂળભૂત હિતોનું સન્માન કરવું જોઇએ, જેથી દ્વિપક્ષીય સંબંધોમાં કોઇ અડચણો ઊભી ન થાય. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા જેંગ શુઆંગએ કહ્યું હતું કે, 'ચીને ઘણો વિરોધ કર્યો હોવા છતાં પણ ભારતે દલાઇ લામાની રાષ્ટ્રપતિ ભવનની મુલાકાતની જિદ્દ પકડી રાખી. રાષ્ટ્રપતિ ભવનમાં દલાઇ લામાએ એક કાર્યક્રમમાં ભાગ લીધો અને ભારતના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી.'
ચીનને દલાઇ લામા સાથે શું વાંધો છે?
ચીન દલાઇ લામાને અલગાવવાદી નેતા માને છે. ચીન છેલ્લા ઘણા સમયથી દલાઇ લામા પર આરોપ લગાવી રહ્યું છે કે, તેઓ ચીન વિરોધી કામોમાં સહભાગી બને છે અને સાથે જ તેઓ ધર્મના નામે તિબેટને ચીનથી અલગ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા જેંગ શુઆંગએ પણ કહ્યું હતું કે, ભારત દલાઇ લામાના આ ચીન વિરોધી અલગાવવાદી રવૈયાને પારખે. તેમણે ભારતને એવી સલાહ પણ આપી હતી કે, ભારત તેમના સંબંધો પર નકારાત્મક અસર નાંખતા તત્વોથી દૂર રહેવા માટે જરૂરી પગલાં લે.
ઓક્ટોબરમાં પણ ચીન નારાજ થયું હતું
ભારતમાં દલાઇ લામાની પ્રવૃત્તિઓને લીધે ચીન નારાજ થયું હોવાનો એક વર્ષમાં આ બીજો કિસ્સો છે. આ પહેલાં ઓક્ટોબરમાં ચીને દલાઇ લામાને આરુણાચલ પ્રદેશ આવવાની અનુમતિ આપવા અંગે વિરોધ નોંધાવ્યો હતો. દલાઇ લામા માર્ચ 2017માં અરુણાચલ પ્રદેશ જશે. ચીને તિબેટ કબજે કર્યા બાદ દલાઇ લામા ત્યાંથી નિર્વાસિત છે. તેઓ ભારતમાં ધર્મશાળામાં રહે છે. ચીન અરુણાચલ પ્રદેશને પોતાનો પ્રદેશ ગણાવે છે અને આથી જ ચીન ત્યાંના યાત્રીઓને સ્ટેપલ વિઝા પણ આપે છે.
બરાક ઓબામા સાથેની મુલાકાત સામે પણ વાંધો
આ વર્ષે જૂનમાં દલાઇ લામાએ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાની મુલાકાત લીધી હતી. તે સમયે પણ ચીન રોષે ભરાયું હતું. ત્યારે વ્હાઇટ હાઉસ તરફથી પણ ભારત જેવું જ નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું. વ્હાઇટ હાઉસે કહ્યું હતું કે, દલાઇ લામા એક ધાર્મિક તથા આધ્યાત્મિક ગુરૂ હોવાથી અમેરિકાના રાષ્ટ્રપતિએ તેમની સાથે મુલાકાત કરી છે.