ભારતીય સેનામાં દાખલ થવા શું કરશો?
ભારતીય સેનામાં દાખલ થવા માટે શું કરશો? ભારતીય સેનાની નિમણૂક પ્રક્રિયા જાણો અહીં...
દેશમાં સૌથી વધુ સંખ્યામાં નિમણૂક કરનારી અને ઉચ્ચ કારકીર્દિની તક આપતી ભારતીય સેના દ્વારા આ વર્ષે આર્મી રિક્રૂટમેન્ટ રેલીનું આયોજન કરવામાં આવશે. 1 નવેમ્બર, 2017થી 11 નવેમ્બર, 2017 દરમિયાન મુંબઇના થાણે ખાતે આવેલ માનનીય શ્રી અબ્દુલ કલામ આઝાદ સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે યોજવામાં આવી છે. પૂના ખાતેના રિક્રૂટિંગ ઝોનના હેડક્વાોર્ટર દ્વારા મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવા તથા ઉત્તર મહારાષ્ટ્ર અને ગુજરાતના પેટા ક્ષેત્રમાં આવેલ હેડક્વોર્ટર્સની મદદ અને સમર્થન સાથે આ રેલી યોજવામાં આવી રહી છે. આ આર્મી રિક્રૂટમેન્ટ રેલીમાં ભાગ લઇ તમે પણ દેશની સેવા કરવાની તક મેળવી શકો છો. આ માટેનું ઓનલાઇન રજિસ્ટ્રેશન 1લી કે 2જી સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે, ઇચ્છુક લોકો 16 ઓક્ટોબર, 2017 સુધીમાં અરજી દાખલ કરી શકશે. રેલીમાં ભાગ લેનારા વ્યક્તિઓની સંખ્યા મર્યાદિત રાખવામાં આવે છે.
આ રેલીમાં ભાગ લેવા માટે પસંદગી પામેલ સ્પર્ધકને 17 ઓક્ટોબર, 2017 બાદ તેમના ઇ-મેઇલ આઇડી પર એડમિટ કાર્ટ મોકલવામાં આવશે. સ્ક્રિનિંગ સમયે સ્પર્ધકે આ એડમિટ કાર્ડની પ્રિંટ સાથે લાવવી ફરજિયાત છે. રેલીમાં ભાગ લેવા માટે તમે www.joinindianarmy.nic.in પર અરજી કરી શકો છો. આ રેલીમાં સહભાગી થવા માટે કોણ-કોણ અરજી કરી શકે છે તેના માપદંડો પણ વેબસાઇટ પર વાંચી શકાશે. વેબસાઇટ થકી Sol GD, Sol Tech, Sol Tech (NA/ VET), Sol Tdn, Sol Clk/SKT અને Hav (Edn) માટે અરજી કરી શકાય છે. પ્રાથમિક ચકાસણીમાં પાસ થનાર સ્પર્ધકે ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ(PFT), ફિઝિકલ મેઝરમેન્ટ ટેસ્ટ(PMT) અને મેડિકલ એક્ઝામિનેશન પાસ કરવાનું રહે છે. આ તમામ ટેસ્ટની વિગતો તેમને મોકલવામાં આવેલ એડમિટ કાર્ડમાં જણાવવામાં આવે છે. સેનાની આ નિમણૂક પ્રક્રિયા બિલકુલ પારદર્શક રીતે અને નિઃશુલ્ક થાય છે.