સાંસદોએ લીધા સપથ, સ્પીકર તરીકે સુમિત્રા મહાજન ફિક્સ
નવી દિલ્હી, 5 જૂન: 16મી લોકસભામાં આજે નવા ચૂંટાયેલા સાંસદોએ શપથ લીધા હતા. કાર્યવાહક અધ્યક્ષ કમલનાથે સાંસદોને શપથ અપાવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા શપથ લીધા. તેમના બાદ ભાજપના નેતા લાલ કૃષ્ણ અડવાણી અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ શપથ લીધા.
વિદેશ મંત્રી સુષમા સ્વરાજ, જળ સંસાધન મંત્રી ઉમા ભારતી અને સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને સંસ્કૃતમાં શપથ લીધા. આજે લોકસભા સ્પીકર માટે ઉમેદવારી પણ નોંધાવાઇ, જેના માટે સુમિત્રા મહાજનનું નામ લગભગ પાક્કુ માનવામાં આવે છે. સુમિત્રા મહાજન ભાજપની વરિષ્ઠ નેતા છે અને 8 વાર સંસદ રહી ચૂકી છે.
વરિષ્ઠ નેતાઓ બાદ રાજ્યોના આલ્ફાબેટિકલ ઓર્ડરમાં તમામ સાંસદોને શપથ અપાવવામાં આવ્યા.
સંસદનું વિશેષ સત્ર 11 જૂન સુધી છે, વિશેષ સત્રના બાકી દિવસોનો કાર્યક્રમ આ પ્રકારે છે:
- 6 જૂનના રોજ સ્પીકરની ચૂંટણી થશે.
- 7 અને 8 જૂનની રજા બાદ 9 જૂનના રોજ રાષ્ટ્રપતિનું અભિભાષણ થશે.
- 10 અને 11 જૂનના રોજ રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા થશે અને વડાપ્રધાન આભારવિધિ કરશે.

અત્રે નોંધનીય છે કે બુધવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથે લોકસભાના પ્રોટેમ સ્પીકરના રૂપમાં શપથ લીધા હતા. ત્યારબાદ દિવંગત કેન્દ્રીય મંત્રી ગોપીનાથ મુંડેને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ લોકસભા દિવસભર માટે સ્થગિત કરી દેવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
