ઇન્ડિયન મુજાહીદ્દીનનો ફરાર સભ્ય અફઝલ ઉસ્માની ફરી ઝડપાયો
મુંબઇ, 28 ઓક્ટોબર : મુંબઇની એક કોર્ટમાંથી ગયા મહિને ફરાર થઇ ગયેલા ઈન્ડિયન મુજાહિદ્દીન સંગઠનનો ત્રાસવાદી અફઝલ ઉસ્માનીને ગોવામાંથી પાછો પકડી લેવામાં આવ્યો છે. આનો શ્રેય મહારાષ્ટ્ર એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડને જાય છે. 2008ના અમદાવાદ બોમ્બધડાકાઓના કેસનો આરોપી ઉસ્માની ગત 20 સપ્ટેંબર, 2014ના રોજ 'મકોકા' કોર્ટમાં લઈ જતી વખતે પોલીસને હાથતાળી આપી ભાગી ગયો હતો.
ઉસ્માનીને નવી મુંબઈની તળોજા સેન્ટ્રલ જેલના અન્ય 18 કેદીઓની ભેગો મુંબઈની સેશન્સ કોર્ટમાં હાજર કરવા માટે પોલીસો લઈ ગયા હતા, પણ કોર્ટ પરિસરમાં જ 'બાથરૂમ જવું છે' એમ કહીને ઉસ્માની પોલીસની કસ્ટડીમાંથી ભાગી છૂટવામાં સફળ થયો હતો. પોલીસનું કહેવું છે કે અમદાવાદ અને સુરતમાં વિસ્ફોટકો મોકલવા માટે વપરાયેલી ચાર કારની ઉસ્માનીએ ચોરી કરી હતી. બોમ્બ મૂકવાનો પણ તેની પર આરોપ છે.
વર્ષ 2008ની 26 જુલાઈએ અમદાવાદમાં 21 શ્રેણીબદ્ધ બોમ્બધડાકા થયા હતા. જેમાં 56 જણ માર્યા ગયા હતા અને બીજાં 200થી વધારે લોકો ઘાયલ થયા હતા. કેટલાક બોમ્બ સાઈકલો પર ટીફીન કેરિયરમાં મૂકવામાં આવ્યા હતા. ઘણા ધડાકાઓમાં શહેરની બસ સેવાને ટાર્ગેટ બનાવવામાં આવી હતી. બે ધડાકા શહેરની બે હોસ્પિટલના પરિસરમાં થયેલા. ઉસ્માની ફરાર થઈ ગયા બાદ મહારાષ્ટ્ર એટીએસ અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સાથે મળીને તેની શોધખોળ આદરી હતી.
ઉસ્માની ઉત્તર પ્રદેશના બહારીચ જિલ્લાના તાતેરા ગામમાં સંતાયો હોવાની એટીએસના અધિકારીઓને બાતમી મળી હતી. પરંતુ એટીએસની ટૂકડી તેને પકડવા પહોંચે એ પહેલા જ તે ત્યાંથી છટકીને ભારત-નેપાળ સરહદ નજીકના એક ગામમાં ભાગી ગયો હતો. આખરે પીછો કર્યા બાદ એટીએસના અધિકારીઓએ તેને રુપાઈદીહા રેલવે સ્ટેશનમાંથી પકડી લીધો હતો. કહેવાય છે કે ઉસ્માનીએ માથે ટકલુ કરાવી લીધું હતું અને દાઢી પણ કાઢી નાખી હતી.