ભારતના લોકો અને કોંગ્રેસ પાર્ટી મારું જીવન છે : રાહુલ ગાંધી
તેમણે પોતાના ભાષણમાં જણાવ્યું કે "કોંગ્રેસ પાર્ટીના નિયમ અને કાયદો અલગ છે. જેને પાર્ટી સિવાયના લોકો જાણી શકતા નથી. ઘણા લોકોની એવી ફરિયાદ છે કે કોંગ્રેસમાં લીડરશિપ પર ફોકસ નથી કરતા તેમને જણાવવા માંગું છું કે કોંગ્રેસના ડીએનએમાં ભારત છે. આપણે પાર્ટીને મજબૂત બનાવવા માટે સમગ્ર દેશમાંથી 40-50 નેતાઓ તૈયાર કરવાના છે જે ભવિષ્યમાં માત્ર પ્રદેશ નહીં સમગ્રે દેશને ચલાવી શકે. જે દેશ અને લોકો સાથે જોડાયેલા હોય."
રાહુલ ગાંધીએ જણાવ્યું કે "લીડરશિપ ડેવલપમેન્ટ માટે માળખા અને માહિતીની જરૂર છે. એ આપણે વિકસાવીશું. મનમે ઘણા લોકો કહે છે કે બહારની પાર્ટી ચૂંટણી લડવા આવે અને હારીને જતી રહે છે. જો કે આ સાથે પાર્ટીમાંથી અલગ થઇને અપક્ષ તરીકે ચૂંટણી લડનારા સામે પગલાં લેવાશે. આપણે નવા વિચારોના અમલીકરણને પણ મહત્વ આપીશું. જે દિવસે આપણે આ કામ કર્યું આપણી સામે કોઇ ઉભું થઇ શકશે નહીં. જે દિવસથી કોંગ્રેસમાં જનતાનો અવાજ ઊંડાઇથી ગૂંજશે ત્યારે પરિસ્થિતિ બદલાશે."
પોતાની નવી જવાબદારી કેવી રીતે નિભાવશે તેનો સંકેત આપતા તેમણે કહ્યું કે "હું બદલાવ માટે સિનિયર નેતાઓની સલાહ લઇશ, આપની પાસેથી શીખીશ, કેમ કે આ પાર્ટીનો ઇતિહાસ, પાર્ટીની સમજ આપની પાસે છે. એમ કરીને હું પાર્ટીનો અવાજ આગળ પહોંચાડીશ. હું જજનું કામ કરીશ, લોયરનું નહીં. હું સમજી વિચારીને જે નિર્ણય લઇશ તે પાર્ટીએ માન્ય રાખવો પડશે."
પોતાના જીવનની કેટલીક ભાવુક ક્ષણોને કાર્યકરો સમક્ષ મૂકતા તેમણે જણાવ્યું કે "આજે હું વહેલો ચાર વાગે ઉઠ્યો ત્યારે બાલ્કનીમાં જઇને મારી નવી જવાબદારી વિશે વિચારતો હતો. મને બાળપણમાં બેડમિન્ટન રમવું ગમતું કારણ કે તે કપરી પરિસ્થિતિમાં સંતુલન જાળવવાનું શીખવતા હતા. તે સમયે મારા દાદીમાની હત્યા થઇ. મારા પિતા તે સમયે રડી પહ્યા હતા. એ સમયની સ્થિતિ જુદી હતી. આજની જેમ કોઇની પાસે ગાડીઓ ન હતી. તેમણે જવાબદારી સ્વીકારી અને દેશને આગળ વધાર્યો. ગઇ કાલે રાત્રે તમારામાંથી ઘણા બધાએ મને રૂબરૂમાં આવીને અભિનંદન આપ્યા. પણ ગઇ કાલે રાત્રે મારી માતા મારા રૂમમાં આવ્યા. મારી બાજુમાં બેસીને રડ્યાં. તેમણે મને કહ્યું કે પાવર (સત્તા) ઝેર સમાન છે. કેમ કે તેઓ જાણે છે કે મારે રાજકારણમાં ઝેર પીવાનું છે. હું જાણી જોઇને આ ઝેર પીવા તૈયાર થયો છું કારણ કે મારે ઝેર પીને પાર્ટીને મજબૂત, સશક્ત બનાવવાની છે."
રાહુલ ગાંધીએ પોતાના માટે અને કાર્યકરોમાં ઉત્સાહ વધારતા જણાવ્યું કે "આઠ વર્ષના અનુભવમાં મને હકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારનો સામનો કરવા મળ્યો છે. આજે આપણે ભવિષ્ય તરફ જોઇને આગળ વધવાનું છે. મારા માટે કોંગ્રેસ પાર્ટી મારું જીવન છે. ભારતના લોકો મારું જીવન છે. હું ભારતના લોકો અને આ પાર્ટી માટે લડીશ. મારાથી બનતી બધી જ લડત હું આપીશ."
જયપુર ખાતેની ચિંતન શિબિરના અતિંમ ઉદ્દબોધનમાં પાર્ટીના અધ્યક્ષા સોનિયા ગાંધીએ કહ્યું કે "છેલ્લા ત્રણ દિવસની આ શિબિરમાં આપણે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરી છે. જયપુર બેઠક એ આગળનું માર્ગદર્શન છે. જયપુર ઘોષણા એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. જે નજીક ભવિષ્યમાં આપણે આ રસ્તા પર જઇશું તો આપણને કોઇ બાધા નહીં નડે. જ્યારે આપણે અહીંથી જઇશું ત્યારે એક નવા જુસ્સા સાથે નવેસરથી પોતાના કામની શરૂઆત કરીશું."