ઇરાક કટોકટી : 5 ભારતીય નર્સો ઘાયલ, MEA નર્સોના સંપર્કમાં
નવી દિલ્હી/થિરુવનંતપુરમ, 3 જુલાઇ : ઈરાકના તિરકિટ શહેરની એક હોસ્પિટલને આજે આઈએસઆઈએસ (ISIS)ના ઉગ્રવાદીઓએ બોમ્બ વિસ્ફોટ વડે ફૂંકી માર્યા બાદ ઓછામાં ઓછી પાંચ ભારતીય નર્સ ઘાયલ થઈ છે, એવું કેરળમાં રહેતા તેમનાં સગાંઓનું કહેવું છે.
ઉલ્લેખનીય છે કે તિરકિટમાં લગભગ 46 ભારતીય નર્સનું એક ગ્રુપ ફસાઈ ગયું છે. ઈરાકમાં કટોકટી ઊભી થઈ તે પછી તેઓ જ્યાં કામ કરતી હતી તે એક સ્થાનિક હોસ્પિટલના બેઝમેન્ટમાં જ છેલ્લા એક પખવાડિયાથી રહેતી હતી.
તમામ નર્સને ISISના ઉગ્રવાદીઓ જ તિરકિટમાંથી મોસુલ શહેરમાં શિફ્ટ કરી રહ્યા હોવાના અહેવાલો વચ્ચે ભારતીય અખબાર હિન્દુસ્તાન ટાઈમ્સને ફોન પર આપેલી જાણકારીમાં સોના જોસેફ નામની એક નર્સે કહ્યું કે, અમે ઉગ્રવાદીઓનો શાંતિપૂર્વક સામનો કરી રહ્યાં હતા, પણ હવે તે દાઢીધારીઓના તેવર બદલાઈ ગયા છે. તેમની સામે નમતું જોખ્યા સિવાય અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી.
સોના જોસેફે નર્સોની આવી ખરાબ હાલત માટે ભારત સરકારને દોષી ગણાવી છે. તેણે કહ્યું કે અમે હવે બધી આશા ગુમાવી દીધી છે. આપણી સરકારે કિંમતી સમય વેડફી નાખ્યો છે. હવે અમને અહીંથી સ્વદેશ પાછી લઈ જવા માટે તેમણે પૂરતા કોફિન જ મોકલવાની જરૂર છે.
દરમિયાન, કેરળના મુખ્ય પ્રધાન ઓમાન ચેન્ડી આજે દિલ્હીમાં વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજને મળ્યા હતા અને તિરકિટમાંની પરિસ્થિતિ વિશે તેમની સાથે ચર્ચા કરી તમામ 46 નર્સોને સલામત રીતે ભારત કેવી રીતે પરત લાવી શકાય તે અંગે વિચારણા કરી પગલાં લેવા સૂચન કર્યું હતું.
વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજને મળ્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં ચાંડીએ જણાવ્યું કે 'રાજ્ય સરકારની જેમ કેન્દ્ર સરકાર પણ ઇરાકમાં દિવસેને દિવસે ગંભીર થતી સ્થિતથી ચિંતિત છે. આપણી જેમ કેન્દ્ર સરકાર પણ તિરકિટમાં ફસાયેલી ભારતીય નર્સોની સુરક્ષાને લઇને ચિંતિત છે. આ નર્સોને પાછી ભારત લાવવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયત્નો ચાલુ છે.'
આ ઉપરાંત ઇરાકમાં સ્થિતિ ખરાબ બની તે પહેલા ભારત વેકેશન કરવા આવેલી એક નર્સ પૈકી પ્રિન્સી સેજુ નામની નર્સે જણાવ્યું કે ઇરાકની વિવિધ હોસ્પિટલ્સમાં કેરળની અંદાજે 800થી 1000 નર્સો કામ કરી રહી છે. આ નર્સો દર મહિને અંદાજે 750થી 1000 ડોલર પગાર મેળવી રહી છે.