ઈશરત કેસ : પિલ્લાઈના પિતા કેસ સુપ્રીમ કોર્ટમાં લઈ જશે
રણેશ કુમાર પિલ્લાઈ ઉર્ફે જાવેદ શેખના પિતા એમ.આર. ગોપીનાથ પિલ્લાઈએ કહ્યું છે કે ગુજરાતના ટોચના પોલીસ અધિકારીઓએ મુખ્ય પ્રધાનના કાર્યાલયમાં 27 વખત ફોન કર્યો હતો. આથી હવે હું આ કેસને હાઈ કોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં લઈ જઈશ.
પોતાનો દીકરો ત્રાસવાદી હોઈ ના હોઇ શકે એવો દાવો કરીને પિલ્લાઈએ કહ્યું કે મારા પુત્ર તથા અન્યોના મૃતદેહો સાથે એટલો ખરાબ વર્તાવ કરવામાં આવ્યો હતો કે તે લોકોને બતાવી શકાય એમ પણ નહોતા. કોઈ પુત્રને એના પિતા જ બરાબર ઓળખી શકે છે. હું મારા દીકરાને જાણું છું અને મને ખબર છે કે મારો દીકરો ક્યારેય ત્રાસવાદી નહોતો.
આ સાથે પિલ્લાઈએ પ્રશ્ન પણ ઉપસ્થિત કર્યો છે કે નરેન્દ્ર મોદીના જીવને જોખમ છે એવું કહી ને 2002 અને 2007ની વચ્ચે 22 એન્કાઉન્ટરો થયા હતા. એવું લાગે છે કે 2007 પછીથી નરેન્દ્ર મોદીના જાન પર કોઈ ખતરો રહ્યો નહોતો. શું બધા ત્રાસવાદીઓ મરી ગયા છે?
સીબીઆઈએ ગયા બુધવારે સ્પેશિયલ કોર્ટમાં નોંધાવેલી ચાર્જશીટમાં કહ્યું છે કે ઈશરત તથા એના ત્રણ સાથીઓનું એન્કાઉન્ટર નકલી હતું. આમ છતાં સીબીઆઇની ચાર્જશીટમાં નરેન્દ્ર મોદી કે ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રી અમિત શાહનું નામ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યું નથી.