જમ્મુ કાશ્મીરના શોપિયાંમાં એનકાઉન્ટરમાં સેનાના બે જવાન શહીદ
જમ્મુ કાશ્મીરના શોપિયાંના જૈનાપોરા વિસ્તારમાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે શનિવારે(19 ફેબ્રુઆરી) સવારથી અથડામણ ચાલુ છે.
શોપિયાંઃ જમ્મુ કાશ્મીરના શોપિયાંના જૈનાપોરા વિસ્તારમાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે શનિવારે(19 ફેબ્રુઆરી) સવારથી અથડામણ થઈ. કાશ્મીર ઝોન પોલિસના જણાવ્યા મુજબ શોપિયાંના જૈનાપોરા વિસ્તારના ચેરમાર્ગમાં અથડામણમાં બે જવાન શહીદ થઈ ગયા છે. માહિતી મુજબ અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો છે. સુરક્ષાબળો અને પોલિસની જોઈન્ટ ટીમની આતંકીઓ સાથે અથડામણ ચાલુ છે. સર્ચ ચાલુ છે. હાલના સમાચારમાં વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.
ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં જમ્મુ કાશ્મીરના શોપિયાંના નદીગામ વિસ્તારમાં અથડામણમાં હિજબુલ મુજાહીદ્દીનના એક આતંકીને સુરક્ષાબળોએ ઠાર માર્યો હતો. આતંકવાદીની ઓળખ શોપિયાંના બોંગમ નિવાસી ઉમર ઈશફાક મલિક તરીકે થઈ હતી. તે ગયા વર્ષે નવેમ્બર 2021માં આતંકી સંગઠન હિજબુલ મુજાહિદ્દીનમાં શામેલ થયો હતો.
ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં જ શ્રીનગર પોલિસે જકૂરા વિસ્તારમાં અથડામણ બાદ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા(એલઈટી)-ધ રેઝિસ્ટન્સ ફ્રંટ(ટીઆરએફ) સાથે જોડાયેલા બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. કાશ્મીરના પોલિસ મહાનિરીક્ષક વિજય કુમારે કહ્યુ હતુ કે અથડામણમાં માર્યા ગયેલા એક આતંકવાદીની ઓળખ ઈખલાક હાજમ તરીકે થઈ છે. હાજમ હાલમાં જ જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના હસનપોરામાં હેડ કૉન્સ્ટેબલ અલી મહોમ્મદ ગનીની હત્યામાં શામેલ હતો.