કોર્ટે આસારામ અંગે ગુજરાત પોલીસની ટ્રાન્ઝિટ રીમાન્ડની અરજી સ્વીકારી
જોધપુર, 11 ઓક્ટોબર : બળાત્કાર અને જાતીય શોષણના કેસમાં ગુજરાતની સુરત પોલીસની ટૂકડીએ જોધપુર કોર્ટમાં આસારામના ટ્રાન્ઝિટ રીમાન્ડની અરજી કરી હતી. આ અરજીને આજે કોર્ટે માન્ય રાખી છે. આમ ગુજરાત પોલીસએ આસારામની કસ્ટડી મેળવી છે. પોલીસ હવે આસારામને અમદાવાદ લઈ જશે જ્યાં તેમની સામે બે બહેનોએ કરેલા કેસના સંબંધમાં પૂછપરછ કરવામાં આવશે.
72 વર્ષના આસારામને જાતીય શોષણના એક અન્ય કેસના સંબંધમાં હાલ જોધપુરની જેલમાં પૂરવામાં આવ્યા છે. જ્યારે નારાયણ સાઈનો હજી સુધી પત્તો લાગ્યો નથી. સુરતની બે બહેનોમાંથી મોટી બહેને એવો આરોપ મૂક્યો છે કે પોતે 1997 અને 2006 વચ્ચેના સમયગાળામાં આસારામના આશ્રમમાં રહેતી હતી ત્યારે આસારામે તેનું અનેકવાર જાતીય શોષણ કર્યું હતું.

સુરતની રહેવાસી બે બહેનોએ કરેલી જાતીય શોષણની ફરિયાદને રદ કરવામાં આવે એવી પીટિશન આસારામ તથા એમના પુત્રે ગુજરાત હાઈ કોર્ટમાં નોંધાવી છે એમ આસારામના એડવોકેટ યતીન ઓઝાએ કહ્યું છે.
સગીરાના જાતીય શોષણના કેસમાં જેલમાં બંધ આસારામને જેલમાંથી મુક્તિ મળે તેવું લાગતું નથી, કારણ કે જોધપુરની સેશન્સ કોર્ટે આજે ફરી આસારામની ન્યાયિક કસ્ટડીને 25 ઓક્ટોબર સુધી લંબાવી દીધી છે. આમ, આસારામે 25 ઓક્ટોબર સુધી જેલમાં રહેવું પડશે.
અગાઉ આસારામના વકીલે સેશન કોર્ટમાં એફઆઇઆર રદ કરવા માટેની અરજી દાખલ કરી હતી. અરજીમાં કહેવાયું હતું કે સગીરા દ્વારા કાવતરું ઘડાયું હતું, આખોય કેસ પલ્બિસીટી માટે કરાયો છે. બીજી બાજુ, સુરત પોલીસે કોર્ટ સમક્ષ આસારામના ટ્રાન્ઝિટ રિમાન્ડ માટેની અરજી કરી હતી. આસારામના ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે અમદાવાદ પોલીસ ગુરુવારે જોધપુર જવા રવાના થઈ હતી. આ માટે કોર્ટે પણ પરવાનગી આપી દીધી છે.












Click it and Unblock the Notifications
