મને મારા કામથી મૂલવો, શિક્ષણથી નહીં : વિવાદ પર બોલ્યાં સ્મૃતિ
નવી દિલ્હી, 29 મે : નરેન્દ્ર મોદીની સરકારમાં કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી સ્મૃતિ ઇરાનીના શિક્ષણ અંગે ઉભા થયેલા વિવાદમાં તેમણે પ્રથમ પ્રતિક્રિયા આપી છે. જેમાં સ્મૃતિ ઇરાનીએ જણાવ્યું છે કે મને મારા કામથી મૂલવો મારા શિક્ષણથી નહીં. વિપક્ષ તેમને ભટકાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.
આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે કોંગ્રેસના નેતા અજય માકને મોદીના મંત્રીમંડળ પર પ્રહારો કરતા કહ્યું હતું કે દેશના શિક્ષણ પ્રધાન સ્મૃતિ ઇરાની સ્નાતક પણ નથી. જે બાદથી કોંગ્રેસ ભાજપ વચ્ચે આ મુદ્દે શાબ્દિક યુદ્ધ છેડાયું છે. આ પૂર્વે ભાજપ વતી ઉમા ભારતીએ સ્મૃતિનો બચાવ કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ પહેલા કહે કે સોનિયા ગાંધી કેટલું ભણ્યા છે?
સ્મૃતિએ આજે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે, મને મારા કામથી મૂલવો. વધુમાં સ્મૃતિએ કહ્યું કે મને મારા ઉદ્દેશ્યથી ભટકાવવા માટે આ વિવાદ ઉભો કરવામાં આવ્યો છે. હું મારી દરેક જવાબદારી નિષ્ઠા અને પ્રમાણિકતાથી નિભાવીશ. સ્મૃતિએ કહ્યું સંગઠને મને મારી ક્ષમતાને જોઈને જ આ જવાબદારી સોંપી છે.
દરમિયાન એવો પણ ઘટસ્ફોટ થયો છે કે સ્મૃતિ ઇરાનીએ વર્ષ 2004 અને 2014ની ચૂંટણીમાં દાખલ કરેલી એફિડેવિટમાં આપેલી માહિતીમાં પણ તફાવત જોવા મળે છે. સ્મૃતિની છેલ્લી એફિડેવિટ પ્રમાણે તેમણે દિલ્હી યુનિવર્સિટીના કોરસપોન્ડેટ વિભાગથી બીએ સેકન્ડ યર પૂરું કર્યું છે.