સૈનિકોનું શિરચ્છેદ એક ક્રુરતાઃ કલામ
આ મુદ્દે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કલામે કહ્યું કે, આ એક ક્રુરતા છે. નિશ્ચિત રીતે ભારત સરકાર આ મામલે કડક પગલાં ભરશે. દિલ્હી સામુહિક બળાત્કાર મામલે આરોપીઓને દંડ આપવાના મામલે તેમણે કહ્યું કે અદાલત નક્કી કરશે કે શું યોગ્ય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનની સરકાર અને પાકિસ્તાની લશ્કરે બેશરમીની હદ વટાવી દીધી છે. છેલ્લા 4 દિવસથી ભારત-પાકિસ્તાનની સરહદ પર ભારતીય જવાનો પર પાકિસ્તાનના જવાનોએ કરેલા બર્બર કૃત્ય અંગે ભારતે તેને ઠપકો આપવા છતાં શુક્રવારની રાતભર તેણે સરહદ પર ગોળીબાર ચાલુ રાખ્યો હતો. ભારતીય લશ્કરમાંના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાનની સેનાએ જમ્મુ અને કશ્મીરમાં અંકુશ રેખા પર આવેલી કૃષ્ણા ઘાટી અને સોના ગલી સેક્ટરોમાં ભારતીય લશ્કરની પાંચ ચોકીઓ પર ગોળીબાર કર્યો છે. તેમણે આ ગોળીબાર ગઈ શુક્રવારથી શરૂ કર્યો હતો અને આખી રાત ચાલુ રાખ્યો હતો.