તમિલનાડુના મુખ્યમંત્રી બનશે કમલ હસન? કરી સ્પષ્ટ રજૂઆત
તમિલનાડુના મુખ્યમંત્રી બનવા માંગે છે કમલ હસન. ગુરૂવારે કરી હતી રાજકારણમાં પ્રવેશવાની અધિકૃત જાહેરાત. આ અંગે વધુ વાંચો અહીં...
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કર્યા બાદ અભિનેતા કમલ હસને સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ રાજકારણમાં પ્રવેશ કરશે. કમલ હસનની ઇચ્છા તમિલનાડુના મુખ્યમંત્રી બનવાની છે. તેમણે આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, રાજકારણમાં પ્રવેશ કરવો એ કોઇ રાજાનો મુગટ પહેરવા સમાન છે. હું માત્ર રાજકારણમાં પ્રવેશ નથી કરી રહ્યો, પરંતુ ટૂંક સમયમાં જ લોકોના આશીર્વાદથી તમિલનાડુનો મુખ્યમંત્રી પણ બનવા માંગુ છું. કમલ હસને સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ પોતાની પાર્ટી લોન્ચ કરશે; પરંતુ ક્યારે અને કેવી રીતે એ હજુ નક્કી નથી. તેમણે વાયદો કર્યો હતો કે, તેમની પાર્ટી અંગેનું વધુ સ્પષ્ટ ચિત્ર આગલા 100 દિવસની અંદર લોકો સમક્ષ રજૂ થશે.
ઇન્ડિયા ટુડેને આપેલ ઇન્ટરવ્યુમાં કમલ હસને કહ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિમાં રાજકારણ દલદલ સમાન છે, જેને સાફ કરવાની ખૂબ જરૂર છે. રાજકારણમાં ઝંપલાવતા પહેલાં મારે પૂરતી તૈયારી કરવાની જરૂર છે, આ માટે હું લોકો સાથે મુલાકાત કરી રહ્યો છું. કમલ હસનને જ્યારે પૂછવામાં આવ્યું કે, રાજકારણમાં પ્રવેશવાનો વિચાર તેમને ક્યાંથી આવ્યો? તો તેમણે જણાવ્યું કે, મેં મારો પ્રથમ મત નાંખ્યો, ત્યારે જ રાજકારણમાં પ્રવેશ કરી લીધો હતો, પરંતુ તેની અધિકૃત જાહેરાત હવે કરી રહ્યો છું.
કમલ હસનને જ્યારે તેમની રાજકારણની વિચારધારા અંગે સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, હું લોકોની ચિંતાઓ, સમસ્યાઓ અને મુસીબતો દૂર કરતી વિચારધારા અનુસાર કામ કરવા માંગીશ. મારી રાજનીતિનો રંગ કાળો હશે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, તેમની રાજનીતિનો રંગ કેસરી નહીં હોય, એ વાત પાક્કી છે. પોતાની રાજકારણની નીતિ અંગે વધુ સ્પષ્ટતા કરતાં કમલ હસને કહ્યું હતું કે, હું કેન્દ્રમાં રહેવા માંગુ છું, કોઇની આજુ-બાજુ નહીં. જે મારી વિચારધારા સાથે સંમત થશે, તેની સાથે હું હાથ મિલાવીશ. તેમણે આગળ કહ્યું હતું કે, હું રાતોરાત જનતાની તમામ સમસ્યાઓ ઉકેલી લઇશ, એવો વાયદો તો નથી કરતો, પરંતુ પરિવર્તનની પ્રક્રિયા શરૂ કરવાનો વાયદો ચોક્કસ કરું છું.