આજે કર્ણાટક બંધ છે, જાણો કેમ બંધ છે અને ક્યારે ખુલશે?
પાણી સમસ્યાના કારણે કર્ણાટકમાં આજે બંધ પાળવામાં આવ્યો છે.
આજે કર્ણાટક બંધ છે. બંધને લઇને રાજધાની બેંગલૂરુ સમેત સમગ્ર કર્ણાટકમાં જનજીવન પ્રભાવિત થયું છે. મહાદાઇ જળ વિવાદને લઇને કર્ણાટકે બંધની જાહેરાત કરી છે. કન્નડ સંગઠનો મહાદાઇ નદીના પાણીને લઇને ગોવા સાથે ચાલી રહેલા વિવાદને લઇને કર્ણાટકને બંધ રાખ્યું છે. સંગઠનોની માંગણી છે કે સરકાર આ મામલે જલ્દી જ કોઇ પગલાં લે અને ખેડૂતોનું દેવું માફ કરે. જો કે આ બંધ દરમિયાન જ્યાં કેટલીક શાળા અને કોલેજો બંધ છે તો કેટલીક ચાલુ છે. પ્રાઇવેટ સેવાઓ બંધ રહેશે પણ રાજ્ય પરિવહનની બસો ચાલુ રાખવામાં આવશે. બેંગલૂરુ મેટ્રો રેલ કોર્પોરેશન પણ આ બંધનો ભાગ બનવાની ના પાડી છે. અને મેટ્રો ટ્રેનો ચાલુ છે. ઓટો સર્વિસ પણ સામાન્ય રીતે ચાલી રહી છે. જો કે દૂધ, છાપુ, બેંક અને હોસ્પિટલ જેવી સેવા પણ ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે બંધની જાહેરાત પછી કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી કર્ણાટકના પ્રવાસ પર પણ આવવાના છે ત્યારે વીઆઇપી મુવમેન્ટને જોતા પોલિસ પણ સતર્ક થઇ ગઇ છે. જો કે આ બંધ સજ્જડ રીતે બંધ નથી રાખવામાં આવ્યો જેના કારણે રસ્તા પર લોકોની અવર જવર દેખાય છે. જો કે હાલ તો આ એક દિવસીય જ બંધ છે પણ આવનારા સમયમાં જો ખેડૂતોની માંગ ન સંતોષાઇ તો આ આંદોલન ઉગ્ર બનવાની સંભાવના પણ રહેલી છે.