13 ભાજપના MLAનું યેદુયુરપ્પાને સમર્થન, સંકટમાં કર્નાટક સરકાર
બેંગ્લોર, 10 ડિસેમ્બર: ભાજપમાં બગાવત કરીને અલગ પાર્ટી બનાવનાર કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદુયુરપ્પાએ રવિવારે પોતાની પાર્ટી 'કર્નાટક જનતા પાર્ટી' ની ઔપચારિક જાહેરાત કરી દિધી છે, પોતાની પાર્ટીના ગઠન પર બીએસ યેદુયુરપ્પાએ કહ્યું હતું કે ભાજપ સરકાર લધુમતિમાં છે માટે રાજ્યમાં નવી ચુંટણી યોજાવવી જોઇએ.
અત્રે ઉલ્લેખનીય છે બીએસ યેદુયુરપ્પાની પાર્ટીમાં ભાજપના હાલ 13 ધારસભ્યો સામેલ છે માટે બીએસ યેદુયુરપ્પાએ લધુમતિની વાત કરી છે. બીએસ યેદુયુરપ્પાએ કર્નાટકના મુખ્યમંત્રી જગદીશ શેટ્ટારને પડકારતાં કહ્યું કે જો તેમનામાં થોડી પણ હિંમત અને શરમ બાકી હોય તો તે રાજીનામું આપી દે જેથી રાજ્યમાં ફરીથી ચુંટણી યોજાય.
તેમને સ્પષ્ટ કહ્યું હતું કે કર્નાટકમાં ભાજપ બીએસ યેદુયુરપ્પાને કારણે આવી હતી પરંતુ ભાજપે તેમનું મૂલ્ય સમજ્યું નહી પરંતુ રાજ્યના લોકો તેમને સમજે છે માટે તેમને વિશ્વાસ છે કે તે સત્તામાં ફરીથી પાછા આવશે.
30 નવેમ્બરે બીએસ યેદુયુરપ્પાએ ભાજપે લેખિત રીતે રાજીનામું આપી દિધુ હતું અને ભાજપ સાથે પોતાનો ચાલીસ વર્ષ જુનો સંબંધ તોડી દિધો હતો. એવી હરકતો જોવા મળી રહી છે કે કોંગ્રેસ તરફથી તેમને સહારો મળશે તો તે કોંગ્રેસ સાથે પણ જોડાઇ શકે છે કારણ કે યેદુયુરપ્પાએ જે દિવસે પાર્ટીના શ્રી ગણેશ કર્યા હતા તે દિવસે યુપીએ સુપ્રિમો સોનિયા ગાંધીનો જન્મ દિવસ હતો. તે અંગે બીએસ યેદુયુરપ્પાએ કહ્યું આ ફક્ત એક સંયોગ છે.
રાજકીય વિશ્લેષકોમાં ચર્ચા થઇ રહી છે કે બીએસ યેદુયુરપ્પા કોંગેસ હાથ સાથે ચાલવા માટે તૈયાર થઇ શકે છે કારણ કે છેલ્લા કેટલાક સમયથી બીએસ યેદુયુરપ્પાને કમળની નહી હાથની વાતો અને નિતીઓ સારી લાગે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે લોકાયુક્ત સંતોષ હેગડેના રિપોર્ટ પર યેદુયુરપ્પા પર જમીન કૌભાંડના આરોપ લાગ્યો હતો ત્યારબાદ હાઇકમાન્ડના કહેવાથી તેમને મુખ્યમંત્રી પદ છોડી દિધું હતું. તેમને જેલની હવા ખાવી પડી હતી પરંતુ સતત મુખ્યમંત્રીની ખુરશી મેળવવાની જીદ કરવા છતાં ભાજપે તેમને મુખ્યમંત્રીનું પદ સોંપ્યું ન હતું અને તેમને નારાજ થઇને પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો અને પોતાની અલગ પાર્ટી બનાવી છે.