Karnataka election : બીજેપીને વધુ એક મોટો ઝટકો, બીએમ મલ્લિકાર્જુને પાર્ટીમાંથી રાજીનામું આપ્યુ
કર્ણાટકમાં બીજેપીની સ્થિતી એક સાંધે અને તેર તુટે તેવી છે ત્યારે હવે પાર્ટીને વધુ એક ઝટકો લાગ્યો છે. કર્ણાટકમાં ટિકિટ વહેંચણીમાં બીજેપીને એક પછી એક મોટા ઝટકા લાગી રહ્યા છે. જૂના જોગીઓને ટિકિટ આપે તો સીટ ગુમાવે અને નવાને ટિકિટ આપે તો જૂના જોગીઓ નારાજ થઈ રહ્યા છે. હવે આ સ્થિતીમાં વધુ એક મોટા નેતાએ પાર્ટી છોડી છે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીને હવે માત્ર 24 દિવસ બાકી છે. આ સ્થિતિમાં રાજ્યમાં સત્તાધારી બીજેપીની મુશ્કેલીઓ ઘટવાને બદલે વધી રહી છે. હવે બીએમ મલ્લિકાર્જુન પાર્ટીના પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું આપી દીધું છે.

આ એ જ નેતા છે જેના પર વિધાનસભા ચૂંટણી દરમિયાન બીજેપી દ્વારા તોફાની લોકો સાથે મિલાવટનો આરોપ લાગ્યો હતો. સાયલન્ટ સુનીલ અને ફાઇટર રવિ તરીકે જાણીતા મલ્લિકાર્જુનને ટિકિટ ન અપાતા હવે તે નારાજ છે. ટિકિટ કપાતા સુનીલના સમર્થકોએ વિરોધ પણ દર્શાવ્યો હતો.
આ સિવાય ચિત્તાપુર મતવિસ્તારમાંથી કોંગ્રેસના નેતા પ્રિયંક ખડગે સામે અન્ય એક દબંગ મણિકાંત રાઠોડને ટિકિટ આપવામાં આવી છે. રાઠોડ પર કલબુર્ગી, યાદગીર, બાગલકોટ, વિજયપુરા અને બિદર જિલ્લામાં 30 થી વધુ ફોજદારી કેસ નોંધાયેલા છે. આ કેસમાં હત્યાનો પ્રયાસ, અન્ના ભાગ્ય ચોખાનું ગેરકાયદે પરિવહન, ડ્રગની હેરાફેરી, ગેરકાયદેસર હથિયાર રાખવા અને ગુનાહિત ધાકધમકીનો સમાવેશ થાય છે.
અહીં તમને જણાવી દઈએ કે, કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટરે ટિકિટ ન મળતા જણાવ્યું છે કે, વિધાનસભા ચૂંટણી માટે હુબલી-ધારવાડ સેન્ટ્રલ મતવિસ્તારમાંથી તેમને ટિકિટ નકારવાથી ઓછામાં ઓછી 20 થી 25 બેઠકો પર અસર થશે. આ નિવેદન બાદ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી શનિવારે અહીં તેમને મળ્યા હતા અને તેમને ખાતરી આપી હતી કે પાર્ટી તેમની ઉમેદવારી અંગે યોગ્ય નિર્ણય લેશે.












Click it and Unblock the Notifications
