Karnataka Election : બીજેપી નેતાઓના પુત્રોને ટિકિટ નહીં આપે, જાણો શું કહ્યું પીએમ મોદીએ?
કર્ણાકટ વિધાનસભા ચૂંટણી માટે હજુ બીજેપીએ તેના ઉમેદવારોની યાદી જાહેર કરી નથી. એક તરફ કોંગ્રેસ અને જેડીએસ પોતાના ઉમેદવારો જાહેર કરી રહી છે ત્યારે હવે બીજેપી પર ઉમેદવારોની યાદી જાહેર કરવા દબાણ વધી રહ્યું છે. આ દબાણ વચ્ચે હવે બીજેપીમાંથી સમાચાર આવી રહ્યા છે કે નેતાઓના પુત્રોને પાર્ટી ટિકિટ આપવાના મૂડમાં નથી.

મનાઈ રહ્યું છે કે, બીજેપીની પ્રથમ યાદી આવવામાં હજુ એક-બે દિવસનો સમય લાગી શકે છે. તેનું મુખ્ય કારણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્તમાન સાંસદો અને ધારાસભ્યોના પુત્રોને ટિકિટ આપવાનો વિરોધ છે.
અહેવાલો અનુસાર, વડાપ્રધાન મોદી નથી ઈચ્છતા કે હાલના સાંસદો અને ધારાસભ્યોના પુત્રોને ટિકિટ આપવામાં આવે. પીએમ મોદી ઈચ્છે છે કે નવા નેતાઓને ટિકિટ અપાય, પાર્ટીના કાર્યકરોને ટિકિટ આપવામાં આવે. રવિવારે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. સુત્રો અનુસાર, પીએમ મોદીએ આ બેઠકમાં સ્પષ્ટપણે કહ્યું છે કે તે વર્તમાન સાંસદો અને ધારાસભ્યોના પુત્રોને નહીં, પરંતુ પાર્ટી કાર્યકરોને ટિકિટ આપવા માંગે છે.
સમાચાર અનુસાર. આ મીટિંગમાં પૂર્વ મુખ્યમંત્રી અને સંસદીય બોર્ડના સભ્ય બીએસ યેદિયુરપ્પા પણ હાજર હતા પરંતુ તે મીટિંગ અધવચ્ચે છોડીને ચાલ્યા ગયા હતા. હવે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેઓ પીએમ મોદીના આ કડક વલણથી નારાજ છે. એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પીએમ મોદીના સૂચન બાદ સાંસદો અને ધારાસભ્યોના પુત્રોની ટિકિટ કપાઈ શકે છે. આવી સ્થિતિમાં યેદિયુરપ્પાના પુત્ર બીવાય વિજયેન્દ્રની ટિકિટ પણ મુશ્કેલીમાં છે.
અહીં એક વાત એ પણ નોંધનીય છે કે, સોમવારે યોજાયેલી કેન્દ્રીય નેતાઓની બેઠકમાં પણ યેદિયુરપ્પા હાજર નહોતા રહ્યા. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ઘણા નેતાઓ સામેલ થયા હતા. બેઠકમાં ઉમેદવારોના નામની ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં સીએમ બસવરાજ બોમ્મઈ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ નલિન કુમાર કટીલ, કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી અને ગોવિંદ કરજોલ હાજર હતા.
સૂત્રો અનુસાર, યેદિયુરપ્પા ઈચ્છે છે કે તેમના 15 ઉમેદવારો અને તેમના પુત્રને શિકારીપુરાથી ટિકિટ આપવામાં આવે. યેદિયુરપ્પાના પુત્રને ટિકિટ આપવી કે નહીં તે પીએમ મોદી પર છોડી દેવામાં આવ્યું છે, જ્યારે 15 ઉમેદવારોને ટિકિટ આપવાની માંગ ઠુકરાવાઈ છે.
કર્ણટકમાં માત્ર યેદિયુરપ્પા એકલા નથી, ઘણા મોટા નેતાઓ પોતાના સંતાનો માટે ટિકિટની માંગ કરી રહ્યા છે. જેમાં યેદિયુરપ્પાના પુત્ર બીવાય વિજયેન્દ્ર, મંત્રી સોમન્નાના પુત્ર અરુણ સોમન્ના, ગોવિંદ કરજોના પુત્ર ગોપાલ કરજો પૂર્વ મંત્રીના પુત્ર કેઇ કન્ટેશ ટિકિટ માટે જૂથવાદ કરી રહ્યા છે. જો કે પીએમ મોદીએ જે રીતે કડક વલણ દાખવ્યું છે તે પછી આ તમામ નેતાઓ નારાજ છે. આ નેતાઓનું કહેવું છે કે પાર્ટીનું પહેલા સ્ટેન્ડ એક પાર્ટી એક ટિકિટ હતું, આ સ્થિતિમાં તેમના સંતાનો ટિકિટ આપવી જોઈએ.
બીજી તરફ અહેવાલો એવા પણ છે કે, બીજેપીની ચૂંટણી સમિતિએ 175 ઉમેદવારોની યાદી તૈયાર કરી લીધી છે. આ સિવાય બાકીના 49 ઉમેદવારોની યાદી તૈયાર કરાઈ રહી છે.
મુખ્યમંત્રી બોમ્મઈએ કહ્યું કે, કેટલીક બેઠકો માટે ઉમેદવારો હજુ નક્કી થયા નથી. પ્રથમ યાદી એક-બે દિવસમાં જાહેર થઈ શકે છે. બીજી તરફ પોતાની નારાજગીના સમાચાર પર યેદિયુરપ્પાએ કહ્યું કે હું નાખુશ નથી, હું હંમેશા ખુશ વ્યક્તિ છું. મારો ઉદ્દેશ્ય રાજ્યમાં પાર્ટીને ફરી સત્તામાં લાવવાનો છે.












Click it and Unblock the Notifications
