કર્ણાટક ચૂંટણી : કિંગ નહીં તો યેદીયુરપ્પા બનશે કિંગ મેકર?

કર્ણાટકની ચૂંટણીમાં અનેક દિગ્ગજોમી કિસ્મત અને પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. આ વિધાનસભા ચૂંટણી દરેક માટે મહત્વની છે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી માટે આ ચૂંટણીઓ અગ્નિપરીક્ષા સમાન છે. આ વખતે દક્ષિણભારતમાં ભાજપ માટે સંગઠનનો ઝંડો લહેરાવનાર બી એસ યેદીયુરપ્પા પાર્ટીથી અલગ થઇ ગયા છે. હવે ભાજપ માટે યેદીયુરપ્પા જ મોટો પડકાર બનીને ઉભા થયા છે.
યેદીયુરપ્પાની બળવાખોરીથી ભાજપના પાયા હચમચી ગયા છે. યેદીયુરપ્પાની નવી પાર્ટી કર્ણાટક જન પક્ષે (કેજેપી)એ તમામ 224 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીઓ પર એટલા માટે પણ સૌની નજર છે કે અહીં સૌથી મોટો મુદ્દે ભ્રષ્ટાચારનો જ છે. બંને રાષ્ટ્રીય પક્ષો ભાજપ અને કોંગ્રેસે આ મુદ્દે જ એક બીજા પર કીચડ ઉછાળવામાં કોઇ કસર બાકી રાખી નથી.
ગેરકાયદેસર ઉત્ખનન અને અન્ય અનેક એવા મુદ્દા છે જેને લઇને ભારતીય જનતા પાર્ટીની સરકાર માટે પોતાનો કાર્યકાળ ચલાવવો મુશ્કેલ બની ગયો છે. યેદીયુરપ્પાની બગાવત ભાજપને એટલે પણ ભારે પડવાની છે કારણ કે ભાજપ વર્ષો સુધી જેને પોતાની વોટ બેંક માનતી રહી તે લિંગાયત જાતિમાંથી જ યેદીયુરપ્પા આવે છે.
જ્યારે ભાજપે યેદીયુરપ્પાને ફરીથી મુખ્યમંત્રી બનાવવાની ના પાડી ત્યારથી જ યેદીયુરપ્પાએ ભાજપને પતનના સંકેત આપી દીધા હતા. જો કે ભાજપના નેતાઓ આ બાબતને માનવા તૈયાર નથી કારણ કે ભાજપના વર્તમાન મુખ્યમંત્રી જગદીશ શેટ્ટાર પણ લિંગાયત જાતિનું જ પ્રતિનિધિત્વ કરે છે. જો કે યેદીયુરપ્પાનો સાથ છૂટતા ભાજપને વોટબેંકનું નુકસાન સહન કરવું પડશે એ હકીકત છે.
આ મુદ્દે રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે યેદીયુરપ્પા ભલે આ વખતે ફરી મુખ્યમંત્રી બની શકાય એટલા મતો નહીં મેળવી શકે, પરંતુ તેઓ આ ચૂંટણીઓમાં કિંગમેકરની ભૂમિકા તો ચોક્કસ ભજવશે. લિંગાયત જાતિના મતોનું વિભાજન ભારતીય જનતા પાર્ટી માટે નુકસાનકારક સાબિત થશે અને તેનો સીધો ફાયદો કોંગ્રેસ પાર્ટીને મળી શકે છે.
બીજો એક તર્ક એમ પણ કહે છે કે કોંગ્રેસ માટે આ વખતે ફાયદો ઉઠાવવાની પૂરે પૂરી તકો છે, પરંતું કોંગ્રેસનો આંતરિક કલેહ તેને કેટલી હદ સુધી ફાયદો ઉઠાવવા દે છે તે પરિણામ આવશે પછી જ જાણવા મળશે. વિશ્લેષકો માને છે કે એક સમયે યેદીયુરપ્પા સામે કોંગ્રેસે મોરચો ખોલ્યો હતો પણ ચૂંટણી બાદ એવી પરિસ્થિતિ પણ આવી શકે છે કે કોંગ્રેસે સરકાર બનાવવા માટે તેમનું સમર્થન લેવું પડે.
રાજકીય પરિસ્થિતિ જોતા જો કોઇ પાર્ટીને પૂર્ણ બહુમત નહીં મળે તો પૂર્વ મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામીના જનતાદળ સેક્યુલર, ભાજપના એક બગાવતી નેતા બી શામુલુના નેતૃત્વવાળી બીએસઆર કોંગ્રેસ જેવા દળોની ભૂમિકા મહત્વની બની જશે.












Click it and Unblock the Notifications
