24 કલાકથી ગાયબ છે કોંગ્રેસના 4 MLA, પક્ષમાં ખળભળાટ
છેલ્લા 24 કલાકથી કોંગ્રેસના 4 ધારાસભ્યો બુધવારે પક્ષના કાર્યાલય પર થયેલી કોંગ્રેસ ધારાસભ્યોની બેઠકમાં કે બેંગલુરુના ઈગલટન રિસોર્ટમાં પહોંચ્યા નથી.
કર્ણાટકમાં બે દિવસથી ચાલી રહેલ રાજકીય બબાલ વચ્ચે બીસ યેદિયુરપ્પાએ ગુરુવારે મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ યેદિયુરપ્પાને સીએમ પદના શપથ લેવડાવ્યા. યેદિયુરપ્પાના શપથ ગ્રહણના વિરોધમાં કોંગ્રેસ નેતા કર્ણાટક વિધાનસભામાં મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે ધરણા પર બેઠા હતા. આ દરમિયાન મોટા સમાચાર એ છે કે છેલ્લા 24 કલાકથી કોંગ્રેસના 4 ધારાસભ્યો ગાયબ છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ ચારેય ધારાસભ્યો બુધવારે પક્ષના કાર્યાલય પર થયેલી કોંગ્રેસ ધારાસભ્યોની બેઠકમાં કે બેંગલુરુના ઈગલટન રિસોર્ટમાં પહોંચ્યા નથી.
અપક્ષ ધારાસભ્યો કોંગ્રેસના પક્ષમાં
તમને જણાવી દઈએ કે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી. બુધવારે રાજ્યપાલ વજુભાઈ વાળાએ સૌથી મોટા પક્ષ હોવાના નાતે ભાજપને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યુ, ત્યારબાદ યેદિયુરપ્પાએ કર્ણાટકના સીએમ તરીકે શપથ લીધા. ભાજપ પાસે હાલમાં 104 ધારાસભ્યો છે. બે અપક્ષ ધારાસભ્યોનું સમર્થન કોંગ્રેસને મળેલુ છે. એવામાં યેદિયુરપ્પાને બહુમત સાબિત કરવા માટે હજુ પણ 8 ધારાસભ્યોની જરૂર છે. કોંગ્રેસના જે 4 ધારાસભ્યોના ગાયબ હોવાના સમાચાર છે તેમાંથી એક ધારાસભ્ય આનંદ સિંહની ભાજપમાં શામેલ હોવાની અટકળો પણ છે.
આનંદ સિંહની ભાજપમાં જવાની અટકળો
જો કે કોંગ્રેસે 4 ધારાસભ્યોના ગાયબ હોવાના સમાચારોનું ખંડન કર્યુ છે. કર્ણાટક વિધાનસભામાં કોંગ્રેસના ધરણામાં હાજર ધારાસભ્ય ડી કે સુરેશે જણાવ્યુ કે આનંદ સિંહને છોડીને બાકી બધા ધારાસભ્યો અહીં હાજર છે. આનંદ સિંહ નરેન્દ્ર મોદીની ચુંગાલમાં છે. આ દરમિયાન એવા પણ સમાચાર આવી રહ્યા છે કે આનંદ સિંહ કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપમાં શામેલ થઈ શકે છે. જો કે આ મામલે હજુ સુધી આનંદ સિંહનો પક્ષ સામે આવ્યો નથી.
રાજ્યપાલે પદનો દુરુપયોગ કર્યો
કર્ણાટક વિધાનસભામાં કોંગ્રેસ નેતા અને ધારાસભ્યો ધરણા પર બેઠા. કોંગ્રેસના ધરણામાં પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડા પણ શામેલ થયા. કોંગ્રેસનું કહેવુ છે કે બહુમત વિના ભાજપને સરકાર બનાવવાનું આમંત્રણ આપીને રાજ્યપાલે પોતાના પદનો દુરુપયોગ કર્યો છે. કોંગ્રેસ આ મામલાને લઈને સુપ્રિમ કોર્ટ પહોંચી ચૂકી છે જેના પર શુક્રવારે સુનાવણી થશે.