કશ્મીરના સ્વતંત્રતા દિવસનો જશ્ન, લાલ ચૌકમાં તિરંગાના રંગે રંગાયો ટાવર
દેશ પોતાનો 75 મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યો છે ત્યારે વિવિધ શહેરોમાંથી રોશની અને સજાવટના દ્રશ્યો સામે આવી રહ્યા છે.
દેશ પોતાનો 75 મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યો છે ત્યારે વિવિધ શહેરોમાંથી રોશની અને સજાવટના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જમ્મુ-કશ્મીરની રાજધાની શ્રીનગરમાં લાલ ચૌકમાં તિરંગાની રોશનીની ટાવર ઝળહળી ઉઠ્યો છે.
સ્વતંત્રતા દિવસ પહેલા તિરંગાની રોશનીમાં રંગાયેલો ટાવર સોશિયલ મીડિયા પર લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે અને તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. શ્રીનગરના મેયર જુનૈદ મટ્ટુએ ટ્વિટ કર્યું હતું કે, "અમે સ્વતંત્રતા દિવસ પહેલા લાલ ચોક ખાતે ક્લોક ટાવરને શણગાર્યો છે. ત્યાં નવી ક્લોક લગાવવામાં આવી છે અને તિરંગાથી સુશોભિત કરવામાં આવ્યો છે."
મટ્ટુએ કામ પૂર્ણ કરવા માટે શ્રીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને અભિનંદન પણ આપ્યા હતા. તેમણે કહ્યું કે કોર્પોરેશનના કર્મચારીઓએ સારું કામ કર્યું છે. લાંબા સમય બાદ પહેલીવાર એવું બન્યું છે કે જમ્મુ-કશ્મીરમાં શ્રીનગરના લાલ ચોક ખાતેના ક્લોક ટાવરને તિરંગાથી રોશની કરવામાં આવી છે. હવે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ નિમિત્તે અહીં પણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
નોંધનીય છે કે જમ્મુ અને કશ્મીરનું ભારતમાં વિલીનીકરણ થયું ત્યારથી શ્રીનગરનો લાલ ચોક સતત ચર્ચામાં રહ્યો છે. વર્તમાન પીએમ નરેન્દ્ર મોદીએ ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશી સાથે વર્ષ 1992 માં અહીં તિરંગો ફરકાવ્યો હતો. જોશી તે સમયે ભાજપના પ્રમુખ હતા અને નરેન્દ્ર મોદી એકતા-યાત્રાના કન્વીનર હતા. લાલ ચોક પર તિરંગો ફરકાવવા સામે સ્થાનિક પક્ષો અને ભાગલાવાદીઓ વાંધો ઉઠાવતા હતા. પોલીસ પણ તિરંગો ફરકાવ્યા બાદ લોકોને પકડી લેતી હતી. જોકે, કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ-કશ્મીરમાં ઘણા મોટા ફેરફારો જોવા મળ્યા છે.