કેરળઃ RSS કાર્યાલય પર ફેંકાયો બોમ્બ, 3 કાર્યકર્તા ઘાયલ
કેરળના કૌઝિકોડમાં નદાપુરમ વિસ્તારમાં સ્થિત આરએસએસના કાર્યાલયમાં બોમ્બ ફેંકાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં આરએસએસના ત્રણ કાર્યકર્તા ઘાયલ થયા છે.
કેરળ ના કલાચી સ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના કાર્યાલયમાં બોમ્બ ફેંકાયો હોવાની ખબર સામે આવી છે. ઉપલબ્ધ માહિતી અનુસાર આ ઘટનામાં આરએસએસના ત્રણ કાર્યકર્તાઓ ઘાયલ થયા છે. તેમને તાત્કાલિક કોઝિકોડની રાજકીય મેડિકલ કૉલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે, સંઘ કાર્યાલયમાં આ બોમ્બ કોણે ફેંક્યો એ વાત હજુ જાણી શકાઇ નથી. કેરળમાં આરએસએસ અને લેફ્ટ વચ્ચેની હિંસાત્મક અથડામણના કિસ્સા અનેકવાર સામે આવ્યા છે.

આ ઘટના બાદ આરએસએસ વિચારક રાકેશ સિન્હાએ કેરળના મુખ્યમંત્રી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, સીપીએમ તરફથી કરવામાં આવી રહેલી હિંસાત્મક કાર્યવાહી કેરળના મુખ્યમંત્રી પિનારાઇ વિજયનની નજર હેઠળ જ શરૂ કરવામાં આવી છે. તેમણે આ મામલે ગૃહમંત્રાલયને કેરળ સરકાર માટે એડવાઇઝરી જાહેર કરવાની માંગ કરી છે. આરએસએસ વિચારક રાકેશ સિન્હાએ કહ્યું કે, ગૃહમંત્રીએ કેરળની મુલાકાત લેવી જોઇએ.

ઉલ્લેખનીય છે કે, આરએસએસના નેતા કે.ચંદ્રાવતે નિવેદન કર્યું હતું કે, કેરળના મુખ્યમંત્રી પિનારાઇ વિજયનનું માથું કાપીને લાવે તેને 1 કરોડ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. તેમના આ નિવેદન બાદ જ આરએસએસ કાર્યાલય પર બોમ્બ ફેંકાયો હોવાની ઘટના સામે આવી છે. કે.ચંદ્રાવતે ઉજ્જૈનમાં આયોજિત જનસભાને સંબોધિત કરતાં આ વાત કહી હતી. જો કે, આરએસએસ તરફથી તેમના આ નિવેદનની કડક શબ્દોમાં નિંદા કરવામાં આવી હતી.
આરએસએસ તરફથી કહેવામાં આવ્યું હતું કે, સંગઠન આવી હિંસાત્મક પ્રવૃત્તિઓનું સમર્થન નથી કરતું. આ વિચાર માત્ર એક વ્યક્તિના છે, આને સંગઠનનું લક્ષ્ય માનવામાં ન આવે.












Click it and Unblock the Notifications
