મુંબઇ, 8 એપ્રિલ: પોતાના નિવેદનો, ટિપ્પણીઓ અને ભાષણો થકી હંમેશા વિવાદોમાં ફસાયેલા રહેનાર એમએનએસ પ્રમુખ રાજ ઠાકરેએ એક વાર ફરી ભડકાઉ નિવેદન આપ્યું છે. રાજ ઠાકરેએ મહારાષ્ટ્રમાં ખેડૂતોની આત્મહત્યા પર કોંગ્રેસ અને એનસીપીને આડા હાથે લીધી અને ખેડૂતોને જણાવ્યું કે તે આત્મહત્યા ના કરે. બલકે તે લોકોને મારી નાખે જેમણે ખેડૂતોને આત્મહત્યા કરવા પર મજબૂર કર્યા. આ વિવાદિત નિવેદન તેમણે યવતમાલમાં ચૂંટણી પ્રચાર દરમિયાન આપ્યું હતું.
રાજ ઠાકરે માટે વિવાદાસ્પદ નિવેદન આપવાની આ પહેલી ઘટના નથી. રાજ અવારનવાર આ પ્રકારનું નિવેદન આપતા આવ્યા છે. છેલ્લા 3-4 વર્ષોથી એમએનએસનું જનાધાર સતત નીચે જઇ રહ્યું છે. અને રાજ આ પ્રકારના નિવેદન આપીને હંમેશા સમાચારોમાં રહે છે, પરંતુ આ વખતે રાજે નિવેદન ચૂંટણી પ્રચાર દરમિયાન કર્યું છે. માટે ચૂંટણી પંચ તેમની વિરુધ્ધ કાર્યવાહી કરી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ ઠાકરેએ આ વખતે મોદીને સમર્થન આપવાની જાહેરાત કરી છે. અને તેના માટે તેઓ ભાજપના જ્યાં ઉમેદવારો ઉભા રહેશે ત્યા એમએનએસના ઉમેદવારો નહીં ઉભા રહે. અને તેઓ મોદીને વડાપ્રધાન બનાવવા માગે છે તેવી જાહેરાત કરી હતી.