Karnataka Election : બીજેપીના સરકાર બનાવવાના દાવા પર કુમારસ્વામીની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?

નવી દિલ્હી : કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ઈલેક્શન કમિશને તારીખોની જાહેરાત કરી દીધી છે. કર્ણાટકમાં 10 મેના રોજ મતદાન થશે અને 13 મેના રોજ મતગણતરી થશે. કર્ણાટકમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને બહુમતી સરકાર બનાવવાનો દાવો કરી રહ્યા છે. બીજી તરફ કર્ણાટકની ત્રીજી મોટી પાર્ટી જેડીએસે ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા કોઈ નિવેદન આપ્યુ નહોતું. હવે JDSના અધ્યયક્ષ અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ બહુમત સરકાર બનાવવાના યેદિયુરપ્પાના દાવા પર પ્રતિક્રિયા આપી છે.
જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ કહ્યું કે, બીએસ યેદિયુરપ્પા ક્યા આધારે કહી રહ્યા છે કે તેમને 150થી વધુ સીટો મળશે? તેઓ માને છે કે પૈસા ફેંકીને વોટ ખરીદી શકે છે. ભાજપની કામગીરીથી લોકો ખુશ નથી. કન્નડીગોએ બંને રાષ્ટ્રીય પક્ષોને રાજ્યમાંથી હાંકી કાઢવાનો નિર્ણય કર્યો છે.
કુમારસ્વામીએ આગળ કહ્યું કે, કોંગ્રેસે મુખ્ય વિપક્ષી પાર્ટી તરીકે કઈ જવાબદારી નિભાવી છે? તેમને જેડીએસમાં જોડાવા માટે કોણે કહ્યું? અમે પણ કોંગ્રેસ સાથે જવા તૈયાર નથી. બીજી તરફ યેદિયુરપ્પાના 150 બેઠકો જીતવાના દાવા પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ દાવો કર્યો છે કે ભાજપ આ ચૂંટણીમાં 60 બેઠકો પણ પાર કરી શકશે નહીં.
કોંગ્રેસના કર્ણાટક પ્રમુખ ડીકે શિવકુમારે એચડી કુમારસ્વામીને જવાબ આપતા કહ્યું કે, અમે ન તો તેમને ફોન કર્યો અને ન તો સાથે ચાલવા કહ્યું. તેમણે કહ્યું કે કર્ણાટકની જનતાએ કોંગ્રેસને મત આપવાનો નિર્ણય કર્યો છે અને કર્ણાટકમાં કોંગ્રેસની જ સરકાર બનશે.












Click it and Unblock the Notifications
