ICUમાં લાલુ પ્રસાદ યાદવ, પીએમ મોદીએ તેજસ્વી સાથે ફોન પર કરી વાત
હાલમાં જ બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ સીડી પરથી પડીને ઘાયલ થયા હતા. ત્યારથી તેમની હાલત ગંભીર છે.
નવી દિલ્લીઃ હાલમાં જ બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ સીડી પરથી પડીને ઘાયલ થયા હતા. ત્યારથી તેમની હાલત ગંભીર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સાંજે તેમના પુત્ર તેજસ્વી યાદવને ફોન કરીને લાલુના સ્વાસ્થ્ય વિશે વિગતવાર પૂછપરછ કરી હતી. આ ઉપરાંત વડા પ્રધાને તેમના ઝડપી સ્વસ્થ થવાની પણ કામના કરી છે. તેજસ્વી યાદવ પોતાના પિતાની તબિયત વિશે લોકોને સતત માહિતી આપી રહ્યા છે. તેમણે લોકોને હોસ્પિટલમાં ન આવવાની અપીલ પણ કરી હતી.

લાલુ પ્રસાદ યાદવની તબિયત નાજુક
મળતી માહિતી મુજબ લાલુ પ્રસાદ યાદવ 3 જુલાઈના રોજ સીડી પરથી પડી ગયા હતા. જેના કારણે તેમને હાથ અને ખભાના ભાગે ઈજાઓ થઈ હતી. આ પછી તેમના સ્ટાફે તેમને પટનાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. શરૂઆતમાં એવા અહેવાલ હતા કે લાલુ યાદવને ખભાના હાડકામાં સામાન્ય ફ્રેક્ચર થયુ છે પરંતુ મંગળવારે રાત્રે સમાચાર આવ્યા કે તેમની હાલત નાજુક છે. હાલમાં તેઓ પટનાની હોસ્પિટલમાં દાખલ છે પરંતુ બુધવારે તેમને દિલ્હી ખસેડવામાં આવી શકે છે. જો કે હજુ સુધી તેમના પરિવારજનોએ આ અંગે કંઈ કહ્યુ નથી.

લોકોને હૉસ્પિટલમાં ન આવવાની કરી અપીલ
બીજી તરફ તેજસ્વી યાદવે મંગળવારે સાંજે એક વીડિયો જાહેર કર્યો હતો. તેમણે કહ્યુ કે તેમના પિતા લાલુ યાદવની તબિયત જાણવા માટે ઘણા નેતાઓ અને કાર્યકર્તાઓ હોસ્પિટલ આવી રહ્યા છે. આવી સ્થિતિમાં તે દરેકને અપીલ કરે છે કે તેઓ હોસ્પિટલમાં ન આવે. આનાથી દર્દીને તકલીફ થઈ રહી છે સાથે જ ઈન્ફેક્શનનો ખતરો પણ રહે છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ ઘરે જ રહે અને તેને ઝડપથી સાજા થાય તેવી શુભેચ્છા કરે. તેજસ્વીના જણાવ્યા અનુસાર તેમના પિતાની સ્થિતિમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે.

હૉસ્પિટલનો એક ફોટો આવ્યો સામે
આ સાથે જ લાલુ પ્રસાદ યાદવની હૉસ્પિટલનો એક ફોટો સામે આવ્યો છે. જેમાં તેઓ ખૂબ જ નબળા દેખાઈ રહ્યા છે. ત્યારબાદથી દેશભરમાં તેમના સાજા થવા માટે શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
