National 22 July: એક નજર આજના મુખ્ય સમાચારો પર...
આજના મુખ્ય સમાચારો જોઇએ તો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના વિદેશ પ્રવાસ બાદ પહેલીવાર સંસદીય બોર્ડની બેઠક કરશે. મોદી પોતાની વિદેશ યાત્રા દરમિયાન જે કંઇપણ શીખીને આવ્યા હશે તે પોતાના મંત્રી મંડળને શીખવાડશે અને પોતાની વિકાસાત્મક નીતિ ઘડશે.
સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ માર્કંડેય કાત્જૂએ યુપીએ સરકાર દરમિયાન એક જજ પર ભ્રષ્ટાચારના આરોપો છતાં તેમને મદ્રાસ હાઇકોર્ટના જજ બનાવવાનો આરોપ લગાવ્યો છે. આ મુદ્દા પર સોમવારે સંસદના બંને ગૃહોમાં જોરદાર હોબાળો થયો અને આ વિષય પર ચર્ચાની માંગ પણ ઊઠી. પૂર્વ કાયદા મંત્રી હંસરાજ ભારદ્વાજે જજના કાર્યકાળને વધારવા માટે ચીફ જસ્ટિસને પત્ર લખવાની વાત તો માની, પરંતુ કાત્જૂ દ્વારા લગાવવામાં આવેલા આરોપોને નકારી કાઢ્યા. કાત્જૂના આ ખુલાસાથી દેશના રાજકારણમાં હોબાળો મચી ગયો છે.
દેશના અન્ય સમાચારોને વાંચો તસવીરો સાથે સ્લાઇડરમાં...
મથુરા ગેંગરેપના 6 આરોપીઓની ધરપકડ
મથુરામાં કિશોરી સાથે ગેંગરેપના મામલામાં પોલીસે તમામ છ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. મંગળવારે એસએસપી નિતિન તિવારીએ જણાવ્યું કે આ મામલામાં મનોજ, ગુડ્ડુ, દાનો, રામવીર, શેખર અને મનીષની ધરપકડ કરી લેવામાં આવી છે. નોંધનીય છે કે 19 જુલાઇના રોજ પીંગરીમાં એક કિશોરીને ગામના જ છ લોકો અપહરણ કરીને ખેતરમાં લઇ જઇને તેની પર દુષ્કર્મ કર્યું હતું.
દિલ્હીમાં હોંડા સિટી કારમાંથી મળ્યા ત્રણ મિત્રોના શબ
દિલ્હીના આરકે પુરમ વિસ્તારમાં એક હોંડા સિટીમાં ત્રણ મિત્રોની લાશ મળી આવી છે. રાત્રે લગભગ 11 વાગ્યે પોલીસને આ અંગેની જાણકારી મળી. ત્યારબાદ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
ભારદ્વાજે પત્ર લખી કબુલ્યુ:
પૂર્વ કાયદા મંત્રી ભારદ્વાજે માન્યુ કે તમિલનાડુના એક જજના કાર્યકાળમાં વધારો કરવા માટે તેમણે ચીફ જસ્ટિસને પત્ર લખ્યો હતો. એવું તેમણે યુપીએના સહયોગી દળ ડીએમકેના કહેવા પર કર્યું હતું. ભારદ્વાજે જણાવ્યું કે કાર્યકાળમાં વિસ્તાર પ્રક્રિયા હેઠળ જ થયું. અમારી પર કોઇ દબાણ ન્હોતું. ડીએમકે સાંસદોનું કહેવું હતું કે તે જજ પછાત જાતિમાંથી આવે છે માટે તેમની સાથે અન્યાય થઇ રહ્યો છે. અમે ચીફ જસ્ટીસને લખ્યું કે તેમનો મામલો તપાસનો વિષય છે. ત્યાં સુધી તેમના કાર્યકાળમાં વધારો કરી દેવામાં આવે.
બળાત્કારને ભગવાન જ રોકી શકે
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અજીજ કુરૈશીએ જણાવ્યું છે કે બળાત્કાર જેવી ઘટનાઓને રોકવા માટે ભલે બધો જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે, તેને રોકી શકાય નહીં. કદાચ જો ખુદ ભગવાન ધરતી પર આવે અને કઇ કરે તો જ આ ઘટનાઓને રોકી શકાય નહીંતર નહીં.
દિલ્હીમાં જાન્યુઆરીમાં થઇ શકે છે ચૂંટણી
છેલ્લા ઘણા સમયથી સરકાર માટે તરસથી દિલ્હીમાં ફરી એક વખત વિધાનસભા ચૂંટણી યોજાય તેવી શક્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર દિલ્હીમાં જાન્યુઆરીના અંતમાં ચૂંટણી યોજાય તેવી સંભાવના છે.
સંસદમાં જેટલીએ આપ્યો પાકિસ્તાનને જવાબ
વારંવાર પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવતા સિઝફાયરના ઉલ્લંઘને પગલે રક્ષામંત્રી અરૂણ જેટલીએ આજે સંસદમાં એવું નિવેદન આપ્યું કે 'આજ સુધી અમે ઝૂક્યા નથી અને ઝૂકવાના નથી. સિઝફાયરના ઉલ્લંઘનનો કડકાઇથી જવાબ આપવામાં આવશે.'
કોંગ્રેસમાં રાહુલનો વિરોધ, પ્રિયંકાની માંગ
કોંગ્રેસમાં એક વાર ફરીથી પ્રિયંકા વાઢેરાને લઇને જોરશોરથી માંગ ઉઠી રહી છે. સાંસદોએ પ્રિયંકાને આગળ લાવવાની માંગ કરી છે. સાંસદોના જણાવ્યા પ્રમાણે પ્રિયંકા જ અમિત શાહને જવાબ આપી શકશે.
એલઓસી પર ફરી ફાયરીંગ, જવાન શહીદ
પાકિસ્તાની સેનાએ એકવાર ફરી સીઝફાયરનું ઉલ્લંઘન કરતા ભારતીય ચોકીઓ પર ફાયરિંગ કર્યું છે. જમ્મુના અખનૂર સેક્ટરમાં પાકિસ્તાની સેનાની ફાયરિંગમાં એક જવાન શહીદ થઇ ગયો, જ્યારે બે જવાન ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે અખનૂર ચોકી પાસે આતંકીઓને ઘુસાડવા માટે પાક સેનાએ ફાયરિંગ કર્યું.