2019 પહેલા ભાજપ સામે કોંગ્રેસે ફેલાવી ગઠબંધનની જાળ, 7 રાજ્યોમાં ચક્રવ્યૂહ
2019 ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા માટે કોંગ્રેસ પૂરી તાકાત સાથે તૈયારીઓમાં લાગી ગયુ છે.
2019 ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા માટે કોંગ્રેસ પૂરી તાકાત સાથે તૈયારીઓમાં લાગી ગયુ છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી પહેલા જ અલગ અલગ રાજ્યોમાં ભાજપ સામે ગઠબંધનની જાળ ફેલાવવા માટે પક્ષના રણનીતિકારોને મેદાનમાં ઉતારી દીધા છે. યુપીમાં સપા, બસપા અને આરએલડી સાથે મળીને કોંગ્રેસ જ્યાં મહાગઠબંધનનો હિસ્સો બનવા માટે તૈયાર છે તો મધ્યપ્રદેશમાં પણ માયાવતી સાથે ગઠબંધન નક્કી માનવામાં આવી રહ્યુ છે. યુપી અને મધ્યપ્રદેશ ઉપરાંત કોંગ્રેસે ઝારખંડ, મહારાષ્ટ્ર, બિહાર, તમિલનાડુ અને કેરળમાં અલગ અલગ પક્ષો સાથે ગઠબંધનને અંતિમ રૂપ આપી દીધુ છે.
ઝારખંડમાં ઝામુમો સાથે ગઠબંધન!
ઝારખંડમાં કોંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોરચા (ઝામુમો) ના નેતૃત્વ વચ્ચે લાંબા સમયની વાતચીત બાદ ગઠબંધન પર સંમતિ થતી જોવા મળી રહી છે. સૂત્રો મુજબ ઝારખંડમાં કોંગ્રેસે ઝામુમો સાથે ગઠબંધન માટે સીટોની વહેંચણીની ફોર્મ્યુલા નક્કી કરી લીધી છે. ઝારખંડમાં લોકસભાની 14 સીટો છે જેમાંથી 12 પર ભાજપના સાંસદ છે અને 2 સીટો ઝામુમો પાસે છે. કોંગ્રેસ અને ઝામુમો વચ્ચે ગઠબંધનના સંકેત એ વખતે જ મળવાના શરૂ થઈ ગયા હતા જ્યારે ફેબ્રુઆરીમાં હેમંત શોરેન દિલ્હી આવ્યા હતા. જો કે બંને દળો વચ્ચે સીટની વહેંચણીની અધિકૃત જાહેરાત થવાની બાકી છે.
તમિલનાડુમા ડીએમકે સાથે ગઠબંધન
આ રીતે તમિલનાડુમા કોંગ્રેસ કરુણાનિધિના પક્ષ ડીએમકે સાથે સંપર્કમાં છે. તમિલનાડુમાં લોકસભાની 39 સીટો છે. અહીં કોંગ્રેસ અને ડીએમકેના ગઠબંધનમાં લેફ્ટ પાર્ટીઓ પણ શામેલ છે. લેફ્ટ પહેલેથી જ સંસદની અંદર અને બહાર કોંગ્રેસ સાથે કામ કરવા પર સંમતિ દર્શાવી ચૂક્યુ છે. તમિલનાડુમાં હાલમાં કોંગ્રેસ અને ડીએમકેના એક પણ સાંસદ નથી. 2014 ની લોકસભા ચૂંટણીમાં 39 સીટોમાંથી એઆઈએડીએમકેને 37 અને ભાજપે એક સીટ પર જીત નોંધાવી હતી જ્યારે એક સીટ અન્યના ખાતામાં ગઈ હતી. કોંગ્રેસની કોશિશ એ છે કે રાજ્યામાં ભાજપ સામે એક મજબૂત ગઠબંધન તૈયાર કરવામાં આવે.
બિહારમાં પહેલેથી તૈયાર છે મહાગઠબંધન
કોંગ્રેસનુ સૌથી મજબૂત ગઠબંધન બિહારમાં છે. બિહારના મહાગઠબંધનમાં કોંગ્રેસ અને આરજેડી સાથે જીતનરામ માંઝીનો ‘હમ' પક્ષ પણ શામેલ છે. તમને જણાવી દઈએ કે 2015 ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં આરજેડી, કોંગ્રેસ અને જેડીયુ સાથે મળીને ભાજપ સામે ચૂંટણી લડ્યા હતા. જો કે નીતિશકુમારનો જેડીયુ હવે અલગ થઈ ચૂક્યો છે પરંતુ તેમછતાં બિહારમાં મહાગઠબંધનને ખૂબ મજબૂત સ્થિતિમાં જોવામાં આવી રહ્યુ છે. બીજી તરફ એનડીએમાં ભાજપ, જેડીયુ, એલજેપી અને આરએલએસપી વચ્ચે સીટોની વહેંચણી અંગે ખેંચતાણના સમાચારો સતત આવી રહ્યા છે.
મહારાષ્ટ્ર અને કેરળમાં હશે આ સાથી
મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપી અધ્યક્ષ શરદ પવાર વચ્ચે સીટોની વહેંચણી અંગે વાતચીત અંતિમ ચરણમાં છે. માનવામાં આવી રહ્યુ છે કે રાજ્યના કેટલાક નાના પક્ષો આ ગઠબંધનનો હિસ્સો બની શકે છે. વળી, સૂત્રોની માનીએ તો કેરળમાં લેફ્ટ અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી શકે છે. કેરળમાં લોકસભાની 20 સીટો છે જેમાંથી 8 પર કોંગ્રેસ અને 5 પર સીપીએમનો કબ્જો છે. એક સીટ સીપીઆઈ પાસે અને બાકી અન્ય પાસે છે. કેરળમાં ગઠબંધનને લઈને જો કે હજુ અધિકૃત રીતે કોઈ પણ પક્ષ તરફથી કોઈ નિવેદન આવ્યુ નથી.