બનારસમાં મોદી સામે હાર્દિક પટેલને ઉતારવાની તૈયારીમાં વિપક્ષ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસી માટે વિપક્ષ ખાસ ચક્રવ્યૂહ રચવાની તૈયારી કરી રહ્યુ છે.
2019 લોકસભા ચૂંટણીમાં કેન્દ્રની ભાજપ સરકારને ઘેરવા માટે વિપક્ષી દળોએ રણનીતિની તૈયારી કરી દીધી છે. ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસી માટે વિપક્ષ ખાસ ચક્રવ્યૂહ રચવાની તૈયારી કરી રહ્યુ છે. આ જ કારણ છે કે આ વખતે વિપક્ષની કોશિશ પીએમ મોદી સામે એવો ઉમેદવાર ઉતારવાની છે જેનાથી લડાઈ વધુ તગડી બની શકે. ઉત્તરપ્રદેશમાં વિપક્ષના મહાગઠબંધન બનવાની સંભાવનાઓ વચ્ચે એ પણ માનવામાં આવી રહ્યુ છે કે પ્રધાનમંત્રી મોદી સામે વારાણસીથી આ વખતે વિપક્ષનો એક જ ઉમેદવાર ઉતારવામાં આવે. આના માટે જે નામ સૌથી આગળ માનવામાં આવી રહ્યુ છે તે છે પાટીદાર નેતા હાર્દિક પટેલનું. છેવટે વિપક્ષી દળોના આ દાવનું કારણ શું છે, વાંચો આગળ...
શું વારાણસીમાં થશે નરેન્દ્ર મોદી વિ. હાર્દિક પટેલ?
સૂત્રો મુજબ વિપક્ષી પાર્ટીઓ વારાણસી સંસદીય ક્ષેત્રમાંથી આ વખતે નરેન્દ્ર મોદી સામે હાર્દિક પટેલને ઉતારવાની યોજના બનાવી રહી છે. તેમની આ રણનીતિનું સૌથી મોટુ કારણ એ છે કે હાર્દિક પટેલે ગુજરાતમાં ભાજપને ખાસ્સુ હેરાન કરી મૂક્યુ હતુ. આ ઉપરાંત વારાણસી સંસદીય ક્ષેત્રમાં કુર્મી મતદારો મોટી સંખ્યામાં છે અને હાર્દિક પટેલને ટિકિટ આપવાનો ફાયદો તેમને મળી શકે છે. આ ઉપરાંત હાર્દિક પટેલનું આક્રમક વલણ પણ આ ચૂંટણીમાં તેમને ફાયદો અપાવી શકે છે.
આ પણ વાંચોઃ MeToo: ફરિયાદ માટે કોઈ સમય મર્યાદા ન હોવી જોઈએઃ મેનકા ગાંધી
પીએમ મોદી માટે વિપક્ષ બનાવી રહ્યો છે ખાસ પ્લાન
વારાણસીમાં નરેન્દ્ર મોદી વિ. હાર્દિક પટેલની પાછળ વિપક્ષની યોજના એ પણ છે કે આનાથી ભાજપના રણનીતિકારો પર એક દબાણ રહેશે. તેમને પ્રધાનમંત્રીના આ સંસદીય ક્ષેત્ર પર ખાસ ફોકસ કરવુ પડશે અને વિશેષ રણનીતિ બનાવવી પડશે. વિપક્ષને આશા છે કે આમ થવાથી બીજી સીટો પર પક્ષ વધુ ધ્યાન નહિ આપી શકે જેનો ફાયદો તેમને મળી શકે છે. તમને જણાવી દઈએ કે ગઈ વખતે વારાણસી લોકસભા સીટ પર નરેન્દ્ર મોદીના મુકાબલે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ઉતર્યા હતા. જો કે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.
કોણ છે હાર્દિક પટેલ
પાટીદાર અનામત આંદોલન સમિતિના સંસ્થાપક અને સંયોજક હાર્દિક પટેલની લોકપ્રિયતાની શરૂઆત વિસનગરની રેલીથી થઈ. વાસ્તવમાં વર્ષ 2015 માં ગુજરાતના વિસનગરમાં વિશાળ રેલી કરીને હાર્દિક પટેલ પહેલી વાર સમાચારોમાં આવ્યા. ત્યારબાદ તેમણે પાછુ વળીને જોયુ નથી. સતત તેમની લોકપ્રિયતાનો ગ્રાફ આગળ વધ્યો અને તેમની ચર્ચા રાષ્ટ્રીય રાજકારણમાં પણ થવા લાગી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ હાર્દિક પટેલની અસર જોવા મળી હતી. ભલે ભાજપ એક વાર ફરીથી ગુજરાતમાં જીતી હોય પરંતુ હાર્દિક પટેલના કારણે તેમને ઘણી સીટોનું નુકસાન ઉઠાવવુ પડ્યુ હતુ.
વિસનગર રેલીથી આમરણાંત ઉપવાસ સુધી
પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલે હાલમાં જ પાટીદાર અનામત, ખેડૂતોની દેવા માફી સહિત ઘણા મુદ્દાઓ અંગે આમરણાંત ઉપવાસ કર્યા. તેમના ઉપવાસ 25 ઓગસ્ટે શરૂ થયા કે જે 19 માં દિવસે 12 સપ્ટેમ્બર 2018 ના રોજ ખતમ થયા. આ દરમિયાન તેમની તબિયત પણ બગડી પરંતુ તે પાછા હટવા માટે તૈયાર નહોતા. જો કે બાદમાં વરિષ્ઠ પાટીદાર નેતાઓ અને સહયોગીઓના આગ્રહ પર તેમણે પોતાના ઉપવાસ ખતમ કરી દીધા. હાર્દિક પટેલ જે રીતે પટેલ સમાજ માટે પોતાનો અવાજ બુલંદ કરી રહ્યા છે તેની અસર છે કે તેમને પાટીદારોનું સમર્થન મળી રહ્યુ છે અને તે દિવસેને દિવસે વધી રહ્યુ છે.
સતત વધી રહ્યો છે હાર્દિકની લોકપ્રિયતાનો ગ્રાફ
હાર્દિક પટેલ પર રાજદ્રોહના પણ આરોપ લાગ્યા જેમાં તેમણે નવ મહિના જેલમાં રહેવુ પડ્યુ, નિર્વાચનનો સામનો કરવો પડ્યો. હાર્દિક પટેલ સતત ગુજરાતની રાજનીતિને પ્રભાવિત કરવાની કોશિશમાં લાગેલા રહ્યા છે. તેમના તરફથી હંમેશા કહેવામાં આવ્યુ છે કે તે એક નેતા નહિ પરંતુ સામાજિક કાર્યકર્તા છે. જો કે એ સત્ય એ પણ છે કે તે જે પણ કરે છે તેની ચર્ચા રાજકીય ગલીઓમાં જરૂર થાય છે. તેમના આ અંદાજનો વિપક્ષી પાર્ટીઓ આ લોકસભા ચૂંટણીમાં ઉપયોગ કરવા ઈચ્છે છે. આ જ કારણ છે કે તેમને નરેન્દ્ર મોદી સામે વિપક્ષ તરફથી સંયુક્ત ઉમેદવાર બનાવવાની ચર્ચા થઈ રહી છે.
હાર્દિક પટેલની પારિવારિક પૃષ્ઠભૂમિ
હાર્દિક પટેલનો સંબંધ ગુજરાતના પટેલ સમાજથી છે. તેમના પિતાનું નામ ભરતભાઈ પટેલ છે. તેમણે અમદાવાદની સહજાનંદ કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી છે. પટેલ સમાજ અનામત અને ઓબીસી દરજ્જો આપવાની માંગ અંગે છેલ્લા ઘણા વર્ષોથી આંદોલન કરી રહ્યા છે. આ આંદોલનની કમાન હાર્દિક પટેલે સંભાળી છે.
આ પણ વાંચોઃ Me Too: કેન્દ્રીય મંત્રી એમજે અકબર પર યૌન શોષણનો આરોપ, ઘણી મહિલાઓ આવી સામે