લવ મેરેજ કરવા આવેલું યુગલ, કોર્ટમાં જ યુવકની ગોળી મારી હત્યા
આ પ્રેમી યુગલ કોર્ટમાં લગ્ન કરવા માટેનું પ્રાર્થના પત્ર સોંપવા આવ્યા હતા. તેઓ પોતાની અરજી આપીને પરત ફરી રહ્યા કે જિલ્લાના એસએસપીના રહેઠાણની બિલકુલ પાછળ તેમની પર કેટલાક અજાણ્યા શખ્શોએ અંધાધુંધ ગોળીબાર શરૂ કરી દીધો. અને યુવકનું ગોળી વાગતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતું.
પ્રેમી યુગલના વકીલના જણાવ્યા પ્રમાણે કેટલાક લોકો તેમના સંબંધથી રાજી ન્હોતા, જેની અદાવતમાં યુવકની હત્યા કરવામાં આવી છે. યુવતીએ યુવક સાથે લગ્ન કરવા માટે પોતાનો ધર્મ પણ બદલી લીધો હતો જેના પર કેટલાંક લોકો વિરોધ નોંધાવી રહ્યા હતા.
જોકે યુવકના મોત બાદ યુવતી કોર્ટ પરિસરમાં ભારે કલ્પાંત કરતી નજરે પડી હતી. યુવતીએ મેજીસ્ટ્રેટ પર આરોપ લગાવતા જણાવ્યું કે 'તેઓ ઇચ્છતા ન્હોતા કે આ લગ્ન થાય તેમણે બે વખત મારી ફાઇલ રદ કરી દીધી હતી, તેમજ મને કહેતા હતા કે તું જે કરવા જઇ રહી છે તે ખોટું છે.' પોલીસે હત્યાનો મામલો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.