રાહુલ ગાંધી:કોઇ કારણ નહીં, માત્ર કહ્યું કે ધરપકડ કરી રહ્યાં છીએ
મધ્ય પ્રદેશમાં ખેડૂતોના આંદોલનમાં 5 ખેડૂતોનું મૃત્યુ થતાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી મંદસૌર ખેડૂતોને મળવ પહોંચ્યા હતા. પરંતુ પોલીસે તેમને અટકાવ્યા હતા.
મધ્ય પ્રદેશના સિહોરથી શરૂ થયેલ ખેડૂતોનું આંદોલન હજુ પણ ચાલુ છે. મંદસૌર, રતલામ, ઉજ્જૈન અને દેવાસ સહિતના જિલ્લાઓમાં આ આંદોલન હિંસક રૂપ ધારણ કરી ચૂક્યું છે. ખાસ કરીને મંદસૌરમાં પોલીસે કરેલ ગોળીબારમાં 5 ખેડૂતોનું મૃત્યુ થતાં, ત્યાં પરિસ્થિતિ વધુ વણસી હતી. એવામાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુરૂવારે મંદસૌર પહોંચ્યા હતા.
|
મોટર સાયકલ પર રાહુલ ગાંધી
રાહુલ ગાંધી મોટર સાયકલથી મંદસૌર પહોંચ્યા હતા, પરંતુ પોલીસે તેમને રોક્યા હતા. આ કારણે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી પણ થઇ હતી. રાહુલ ગાંધીએ રાજસ્થાન સ્થિત ઉદયપુરના રસ્તે મધ્ય પ્રદેશની સીમામાં પ્રવેશ કર્યો હતો.
|
ખેડૂતોના આંદોલન પર રાજરમત
રાહુલ ગાંધીની મંદસૌર મુલાકાત અંગે કેન્દ્રિય મંત્રી વૈંકેયા નાયડુએ કહ્યું કે, તેઓ માત્ર ફોટો પડાવવા જાય છે. રાહુલ ગાંધીને મંદસૌરમી પ્રવેશતાં પોલીસે રોક્યા હતા, એ અંગે રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું કે, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સરકારે મને મંદસૌરમાં મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારોને ન મળવા દેવાના સર્વશ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે. રાહુલ ગાંધીએ અન્ય ટ્વીટમાં લખ્યું છે, હું માત્ર ખેડૂતોને મળવા માંગતો હતો, તેમની વાત સાંભળવા માંગતો હતો. કોઇ કારણ આપ્યા વિના મને કહેવામાં આવ્યું કે, ધરપકડ કરી રહ્યાં છીએ.
પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા કેન્દ્રએ મોકલી મદદ
આ પહેલાં મંદસૌરમાં આંદોલનકારોએ ટોલ પ્લાઝા પર તોડ-ફોડ કરી હતી. ટોલ પ્લાઝામાંથી 8-10 લાખ રૂપિયા ચોરાયા હોવાની પણ ખબરો છે. મધ્ય પ્રદેશ રાજ્યની પરિસ્થિતિ સુધારવા તથા હિંસક સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે કેન્દ્ર તરફથી પણ સુરક્ષા દળો મોકલવામાં આવ્યા છે.
મંદસૌરમાં નવા ડીએમ અને એસપી
મંદસૌરમાં આ તોફાનોને કારણે ત્યાંના ડીએમ સ્વતંત્ર સિંહ અને પોલીસ અધિક્ષકને પણ ખસેડવામાં આવ્યા છે. ઉપલબ્ધ જાણકારી અનુસાર શિવપુરીના ડીએમ શ્રીવાસ્તવ અને નીમચના એસપી ઓ.પી.ત્રિપાઠીને મંદસૌરની જવાબદારી સોંપવામાં આવી છે. એસરી ઓ.પી.ત્રિપાઠીએ કહ્યું કે, અત્યાર સુધીમાં 62 લોકોની ધરપકડ થઇ છે. અન્ય વીડિયો અને પુરાવાઓને આધારે વધુ લોકોની ધરપકડ કરવામાં આવશે.
પોલીસે ગોળીબાર કર્યો હતો કે નહીં?
ઉલ્લેખનીય છે કે, મંદસૌરમાં ખેડૂતોના આંદોલન દરમિયાન મંગળવારે પોલીસ તરફથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ અંગે મધ્ય પ્રદેશના ગૃહમંત્રીએ કહ્યું હતું કે, પોલીસને ગોળીબારના આદેશ આપવામાં નહોતા આવ્યા. આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, આંદોલન દરમિયાન પોલીસ નહીં, પરંતુ અસામાજિક તત્વો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. તો સામે પોલીસ અધિકારીએ પોતાના નિવેદનમાં સ્વીકાર્યું હતું કે, આંદોલનકારોને નિયંત્રણમાં લેવા માટે પોલીસ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો.
તપાસમાં સાબિત થઇ વાત
આ મામલે ઇન્સ્પેક્ટર જનરલ મકરંદ દેવસકરે કહ્યું કે, 'તપાસ દરમિયાન એ વાત સ્પષ્ટ થઇ ગઇ છે કે, ગોળીબાર પોલીસ તરફથી જ કરવામાં આવ્યો હતો. પરંતુ કેવી પરિસ્થિતિમાં ગોળીબાર કરવામાં આવ્યો એ વાત હજુ સ્પષ્ટ થઇ નથી.' સતત બે દિવસોથી ગૃહમંત્રી ભૂપેન્દ્ર સિંહ પોલીસે ગોળીબાર કર્યો હોવાની વાતને નકારી રહ્યાં હતા. આખરે તેમણે કહ્યું કે, તપાસ બાદ સ્પષ્ટ થયું છે કે, પોલીસે ગોળીબાર કર્યો હતો અને એમાં 5 ખેડૂતોનું મૃત્યુ થયું હતું.