મહારાષ્ટ્રમાં ભીષણ માર્ગ અકસ્માત, 6 લોકોના મોત, 20 ઘાયલ
Maharashtra Accident: મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં શનિવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો, જ્યાં બે બસો અથડાઈ હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ છે. જેમાં કેટલીક મહિલાઓનો પણ સમાવેશ થાય છે.
સવારે 2.30 વાગ્યાની આસપાસ મલકાપુર શહેરના ફ્લાયઓવર પર આ અકસ્માત થયો હતો. અકસ્માતનો ભોગ બનેલી બસમાંથી એક બસ અમરનાથ યાત્રા બાદ હિંગોલી જઈ રહી હતી જ્યારે બીજી ખાનગી બસ નાસિક તરફ જઈ રહી હતી. ઘટના બાદ ચીસાચીસ થઈ ગઈ હતી.

ઘટનાના એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે નાશિક જતી બસે એક ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તે બીજી બસ સાથે અથડાઈ હતી. આ ઘટનામાં છ લોકોના મોત થયા છે, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે.
ઘટના બાદ તરત જ પોલીસે સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી શરૂ કરી હતી. આ સાથે ઘાયલોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યાં ઘણા લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
આ મામલામાં એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઘટના બાદ પોલીસ ટીમ પહોંચી ગઈ હતી. તાત્કાલિક તમામ ઘાયલોને બચાવી લેવામાં આવ્યા હતા, જેમાંથી 4-5ની હાલત ખરાબ હોવાનું કહેવાય છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે, ઘટના માટે જે પણ જવાબદાર હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
