Ajit Pawar Plane Crash: અજિત પવારના નિધન પર ભાવુક થયા CM ફડણવીસ, મહારાષ્ટ્રમાં 3 દિવસનો રાજકીય શોક
Ajit Pawar Plane Crash Death: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના વડા અજિત પવારનું બુધવારે સવારે એક વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે. આ દુખદ ઘટના ત્યારે બની જ્યારે તેમનું ચાર્ટર્ડ વિમાન બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું.

આ કરૂણ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ છ લોકોએ જીવ ગુમાવ્યા છે, જેના કારણે સમગ્ર મહારાષ્ટ્ર અને દેશમાં શોકની લહેર ફરી વળી છે. મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસે અજિત પવારના નિધન પર ઊંડો શોક વ્યક્ત કરતા કહ્યું કે, "રાજ્યમાં ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે."
CM દેવેન્દ્ર ફડણવીસ થયા ભાવુક
પોતાના સહયોગી અને મિત્રને ગુમાવ્યા બાદ CM દેવેન્દ્ર ફડણવીસે ભાવુક થઈને જણાવ્યું હતું કે:
"આજે સવારે એક અત્યંત દુખદ ઘટના બની છે. અત્યંત અણધારી પરિસ્થિતિમાં આપણા રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના અકસ્માતમાં અવસાનના સમાચારથી સમગ્ર મહારાષ્ટ્ર સ્તબ્ધ છે. મહારાષ્ટ્ર માટે આજનો દિવસ અત્યંત કઠિન છે. આવા નેતૃત્વને તૈયાર થતા વર્ષો લાગે છે, અને જ્યારે તેઓ રાજ્યના વિકાસમાં મહત્વનું યોગદાન આપી રહ્યા હતા, ત્યારે તેમનું નિધન અવિશ્વસનીય અને ચોંકાવનારું છે. મેં વ્યક્તિગત રીતે એક મજબૂત અને ઉદાર મિત્ર ગુમાવ્યો છે. આ તેમના પરિવાર માટે પણ ક્યારેય ન પુરી શકાય તેવી ખોટ છે."
અજિત પવારની રાજકીય સફરનો મહત્વનો વળાંક
જુલાઈ 2023માં અજિત પવારે આઠ ધારાસભ્યો સાથે એકનાથ શિંદે સરકારમાં સામેલ થઈને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) માં ભંગાણ સર્જ્યું હતું. આ રાજકીય ઘટનાક્રમ બાદ ચૂંટણી પંચ દ્વારા તેમના નેતૃત્વ હેઠળના જૂથને પક્ષનું સત્તાવાર નામ અને 'ઘડિયાળ'નું ચિહ્ન સોંપવામાં આવ્યું હતું. જ્યારે શરદ પવારની આગેવાની હેઠળનું જૂથ 'NCP-SP' તરીકે ઓળખાવા લાગ્યું.
તાજેતરમાં જ રાજ્યના રાજકારણમાં એક નવો વળાંક જોવા મળ્યો હતો, જ્યારે પુણે અને પિંપરી-ચિંચવડ મહાનગરપાલિકાની ચૂંટણીઓ માટે NCPના બંને જૂથોએ ફરી હાથ મિલાવ્યા હતા.












Click it and Unblock the Notifications
