દેવેન્દ્ર ફડવીસે કર્યો મોટો ધડાકો, કહ્યું - હું જે પાર્ટીમાં છું એમાં કોઈ ચોઈસ નથી
Maharashtra assembly election 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024ની તારીખોની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે. આ વચ્ચે રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં જોડાઈ ગયા છે. ગઠબંધનમાં રહેલા પક્ષો બેઠકોની વહેંચણી અંગે વિચારવિમર્શ કરી રહ્યા છે.
આ વચ્ચે સૌની નજર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અંગે ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી રણનીતિ પર ટકેલી છે.
મહારાષ્ટ્રમાં હાલ ભાજપ મજબૂત સ્થિતિમાં છે. આમ છતા આ ચૂંટણીમાં તેમની સામે ઘણા પડકારો છે. જે કારણે ભાજપ દ્વારા આગામી રણનીતિઓ પર ચર્ચા કરવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીના નેતા દેવેન્દ્ર ફડણવીસની સંભવિત ભૂમિકા વિશે ઘણી અટકળો ચાલી રહી છે,જેમના પ્રતિનિધિત્વ હેઠળ ભાજપ મહારાષ્ટ્ર ચૂંટણીની તૈયારી કરી રહ્યું છે.

મહારાષ્ટ્રને બદલે કેન્દ્રમાં મહત્વની ભૂમિકા આપવામાં આવી રહી હોવાની અટકળો વચ્ચે હવે ખુદ દેવેન્દ્ર ફડણવીસે આ અંગે ખુલીને વાત કરી છે. દેવેન્દ્ર ફડણવીસે ભારતીય જનતા પાર્ટીમાં તેમની સંભવિત ભૂમિકાઓ વિશે વાત કરી હતી.
મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, હું મુંગેરીલાલના સુંદર સપના જોતો નથી. હું વાસ્તવિકતામાં જીવતો વ્યક્તિ છું. ભારતીય જનતા પાર્ટી મને જ્યાં બોલાવશે હું ત્યાં જઈશ.
ભાજપ નેતા દેવેન્દ્ર ફડવીસે જણાવ્યું હતું કે, હું જે રાજકીય પક્ષમાં છું, તેમાં કોઈ વિકલ્પ નથી. જો મને મુંબઈમાં રહેવાનું કહેવામાં આવશે. તો હું ત્યાં જ રહીશ. જો મને દિલ્હી બોલાવવામાં આવશે, તો હું ત્યાં જઈશ. જો મને નાગપુરમાં મારા ઘરે જવાનું કહેવામાં આવશે, તો હું ત્યાં જઈશ.
જ્યારે દેવેન્દ્ર ફડણવીસને પૂછવામાં આવ્યું કે, તમારું મનપસંદ શહેર કયું છે? ત્યારે દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, મને નાગપુર સૌથી વધુ ગમે છે, પરંતુ હું ત્યાં રહી શકતો નથી.
અત્રે નોંધનીય બાબત છે કે, 2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપની બહુમતી ગુમાવવી અને 2024માં મહારાષ્ટ્રમાંથી લોકસભાની બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના નબળા પ્રદર્શને આગામી રાજકીય માહોલમાં દેવેન્દ્ર ફડણવીસની ભૂમિકા અંગે ચર્ચા જગાવી છે.












Click it and Unblock the Notifications
