મંદસૌરમાં કરોડોના સરકારી વળતર બાદ પણ ખેડૂતોની સ્થિતિ દયનીય
મધ્યપ્રદેશના મંદસૌરમાં જે રીતે ખેડૂતોના પ્રદર્શન દરમિયાન પોલિસની ગોળીઓથી ખેડૂતોના મોત નીપજ્યા હતા ત્યારબાદ આજ દિન સુધી ખેડૂતોની અંદર ગુસ્સો યથાવત છે.
મધ્યપ્રદેશના મંદસૌરમાં જે રીતે ખેડૂતોના પ્રદર્શન દરમિયાન પોલિસની ગોળીઓથી ખેડૂતોના મોત નીપજ્યા હતા ત્યારબાદ આજ દિન સુધી ખેડૂતોની અંદર ગુસ્સો યથાવત છે. આજે પણ ખેડૂતો પોતાની જમીનના યોગ્ય ભાવ માટે સરકાર પાસે માંગણી કરી રહ્યા છે. મોટાભાગના ખેડૂતો કે જે મધ્યપ્રદેશ સરકારથી નારાજ છે તે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે આજે મુલાકાતની યોજના કરી રહ્યા છે. જો કે આ ઘટનામાં માર્યા ગયેલા ખેડુતના પરિવારોને સરકારે એક કરોડ રૂપિયાનું વળતર અને સરકારી નોકરી આપી હતી પરંતુ આ લોકોનું માનવુ છે કે આ સમસ્યાનું મૂળ કંઈક અલગ છે અને હજુ સુધી તેનું સમાધાન થયુ નથી. તેમને હજુ સુધી આ મામલે ન્યાય મળ્યો નથી.
યોગ્ય મૂલ્ય નથી મળી રહ્યુ
ચિલ્લૌડ પિપળ્યા ગામમાં રહેતા કન્હૈયા કુમાર પાટીદાર જેમની ગયા વર્ષે જૂન મહિનામાં હત્યા કરી દેવામાં આવી હતી તેમના મોટા ભાઈ જગદીશનું કહેવુ છે કે સરકારે પોલિસ ફાયરિંગમાં માર્યા ગયેલા ખેડૂતોના પરિવારને એક કરોડ રૂપિયા અને પરિવારના સભ્યોને નોકરી આપી છે તેમછતાં ખેડૂતો માટે આ નુકશાનનો સોદો છે. મંડીઓમાં હંમેશાથી પાકના ભાવ ઓછા રહે છે, મોટા વેપારી મોટાભાગનો પાક ખરીદી લે છે અને બાદમાં ભાવ વધારી દે છે જેના કારણે આનો ફાયદો વેપારીઓને મળે છે નહિ કે ખેડૂતોને.
વિલંબથી મળે છે પૈસા
ગયા વર્ષે મધ્યપ્રદેશ સરકારે ખરીફ પાક માટે ખેડૂતોને સારા ભાવ અપાવવા માટે મહત્વના પગલાં લીધા હતા અને જે ખેડૂતોને યોગ્ય ભાવ નહોતા મળ્યા તેમને એમએસપી સીધી તેમના બેંક ખાતામાં જમા કરાવવામાં આવી હતી. જગદીશનું કહેવુ છે કે અમારા જેવા ખેડૂતોને દેવુ ચૂકવવા માટે પૈસા ત્વરિત જોઈતા હોય છે પરંતુ સરકારની યોજનામાં ઓછામાં ઓછા 2-3 મહિનાનો સમય લાગી જાય છે. મે 20 દિવસ પહેલા આઠ ક્વિંટલ ચણા 4400 રૂપિયા પ્રતિ ક્વિંટલના ભાવથી વેચ્યા હતા. કે જે મંડીના ભાવથી લગભગ 1000 રુપિયા વધુ છે પરંતુ મને હજુ સુધી આ પૈસા મળ્યા નથી.
પોલિસનો ભય
વળી, એક તરફ ખેડૂત પ્રવિણકુમારનું કહેવુ છે કે મે ગયા વર્ષે 75000 રૂપિયાનું આદુ વેચ્યુ હતુ પરંતુ જો આજે મંડીમાં વેચતો તો 80000 રૂપિયા મળતા. તેમણે કહ્યુ કે ભ્રષ્ટાચારના કારણે ખેડૂતોને આ યોજના સાથે જોડવામાં નથી આવી રહ્યા. જેના કારણે વેપારી પાક ખરીદી લે છે અને ખેડૂતોને બીબીવાય યોજનાનો લાભ નથી મળી શકતો. ખેડૂતોનું કહેવુ છે કે અમારા ગામમાં પોલિસનો પણ ડર છે. ખેડૂતો પોલિસ સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. જેના કારણે તેઓ સતત પોલિસના નિશાના પર રહે છે.
આજે પણ શોકમાં છે પરિવાર
કન્હૈયાલાલના ઘરમાં એક કરોડ રૂપિયાને કારણે કંઈ ખાસ બદલાવ આવ્યો નથી. આજે પણ તેમની મોટરસાઈકલ ઘરમાં પડી છે અને તેમનો પરિવાર માટીમાં બેસવા મજબૂર છે. તેમની પત્ની સુમિત્રા અને મા દેબુબાઈ તેમનાથી દૂર રહે છે. તેમની પાસે કુલ 6 વિઘા જમીન છે જેના પર ખેતી થતી નથી. સુમિત્રાનું કહેવુ છે કે હું અડધી બોરી સામાન પણ નથી ઉઠાવી શકતી કારણકે આ પુરુષોનું કામ છે. તે આજે પણ પતિના મૃત્યુથી શોકમાં છે. સુમિત્રાને સરકાર તરફથી કુલ 34 લાખ રૂપિયા મળ્યા છે અને તેના બે બાળકોને 33-33 લાખ રૂપિયા મળ્યા છે. જેમાંથી મોટાભાગના પૈસા એફડીમાં છે. એમાંથી એક પણ રૂપિયો ખર્ચ કરવામાં નથી આવ્યો.
ઘરમાં રાખ્યો છે પાક
વળી, બરખેડા પંથકમાં અભિષેકના માતાપિતા દિનેશ અને અલ્કાબાઈને સરકાર તરફથી મળેલા પૈસામાંથી 13 લાખ રૂપિયા કૂવો ખોદવામાં ખર્ચ થઈ ગયા જેના કારણે તેમની ચાર વિઘાની ખેતી ઉપજાઉ બની શકી છે. વળી, તે પોતાના ઘરની છત પણ આ પૈસાથી બનાવી શક્યા છે. દિનેશે હજુ સુધી પોતાનો પાક આ વર્ષે વેચ્યો નથી. તેના ખેતરમાં આ વર્ષે 60 ક્વિંટલ મસૂરની દાળ, સોયાબિન, ચણા અને સરસિયુ થયા હતા કે જે ઘરમાં જ પડી રહ્યુ છે. તેમની સમસ્યા એ છે કે આખી જમીન દિનેશના પિતા ભંવરલાલની છે જે તેમની સાથે નથી રહેતા.
રાહુલ સાથે આજે થશે મુલાકાત
કોંગ્રેસ તરફથી પાંચ ખેડૂતોના પરિવારોને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવા માટે બોલાવવામાં આવ્યા છે. જેના પર દિનેશનું કહેવુ છે કે મારે કોઈ પણ નેતા સાથે કંઈ પણ લેવાદેવા નથી પરંતુ હું રાહુલ ગાંધીને મળવા જરૂર જઈશ. તેમનું કહેવુ છે કે સરકારે પ્રદર્શન રોકવા માટે પૂરી તાકાત લગાવી દીધી હતી પરંતુ કોંગ્રેસ અને યોગેન્દ્ર યાદવ જેવા સામાજિક કાર્યકર્તાઓએ સરકારને ઝૂકવા પર મજબૂર કર્યા હતા.