આબકારી કૌભાંડ કેસમાં મનીષ સિસોદિયાની ધરપકડ, 8 કલાક પુછપરછ બાદ કાર્યવાહી
સીબીઆઈએ સિસોદિયા પર પુરાવાનો નાશ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. સીબીઆઈનું માનવું છે કે નવી નીતિ ઘડવામાં સિસોદિયાની મુખ્ય ભૂમિકા હતી.
નવી દિલ્હી : છેલ્લા ઘણા સમયથી મનીષ સિસોદિયાની ધરપકડની અટકળોનો અંત આવ્યો છે અને સીબીઆઈએ મનીષ સિસોદિયાની ધરપકડ કરી લીધી છે. ધરપકડ પહેલા તેમની 8 કલાક પુછપરછ કરાઈ અને તેમાં યોગ્ય જવાબો ન મળતા કાર્યવાહી કરાઈ છે. મનીષ સિસોદિયાની ધરપકડ બાદ હવે રાજનીતિ ગરમાઈ છે.

મનીષ સિસોદિયાની ધરપકડ બાદ આમ આદમી પાર્ટીના કાર્યકરો આખો દિવસ પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા. દિલ્હી પોલીસે કેટલાક AAP કાર્યકર્તાઓની અટકાયત કરી હોવાના પણ અહેવાલ છે.
મળી રહેલી વિગતો અનુસાર, આ કેસમાં તપાસ એજન્સીએ પુરાવા એકત્ર કર્યા હતા. જે મનીષ સિસોદિયાને બતાવાયા હતા. આ અંગે તેમને પ્રશ્નો કરાતા તેઓ જવાબ આપી શક્યા ન હતા. આ સ્થિતિમાં પુરાવાના આધારે તેની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈએ સિસોદિયા પર પુરાવાનો નાશ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. સીબીઆઈનું માનવું છે કે નવી નીતિ ઘડવામાં સિસોદિયાની મુખ્ય ભૂમિકા હતી.
અહીં તમને જણાવી દઈએ કે, દિલ્હી સરકાર નવી એક્સાઇઝ પોલિસી લાવી હતી. જેમાં કૌભાંડનો આક્ષેપ થયો હતો. આ પછી દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ 22 જુલાઈ 2022ના રોજ આ મામલે સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. કેન્દ્ર સરકારેણ આ વાત સ્વીકારી કેસ સીબીઆઈને સોંપ્યો હતો. સીબીઆઈએ મનીષ સિસોદિયાના ઘર, ઓફિસ વગેરે પર અનેક વખત દરોડા પાડ્યા હતા. આ ઉપરાંત તેમના બેંક લોકરની પણ તલાશી લેવામાં આવી હતી. આ દરમિયાન આમ આદમી પાર્ટીએ દાવો કર્યો હતો કે આ દરોડામાં તપાસ એજન્સીને કંઈ મળ્યું નથી. આ પછી સિસોદિયાને રવિવારે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. લગભગ 8 કલાક સુધી તેમની પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી.
બીજી તરફ દિલ્હી પોલીસે CBI ઓફિસની બહાર સુરક્ષા વધારી દીધી છે. રવિવારે સાંજે વધારાના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય સ્થળોએ પણ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
