મનમોહન સિંહ 25 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્રને સંબોધન કરશે
નવી દિલ્હી, 24 સપ્ટેમ્બર : વડાપ્રધાન મનમોહન સિંહ 25 સપ્ટેમ્બર, 2013ના રોજ અમેરિકાના પ્રવાસે જઇ રહ્યા છે. અમેરિકા પહોંચીને તેઓ રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે બેઠક યોજવા ઉપરાંત સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને પણ સંબોધિત કરશે. તેઓ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને પણ મળે તેવી શક્યતાઓ છે.
વડાપ્રધાન મનમોહનવ સિંહ અને બરાક ઓબામા વચ્ચે યોજાનારી બેઠકનો મુખ્ય એજન્ડા અસૈન્ય પરમાણુ સોદાનું ક્રિયાન્વયન, સુરક્ષા, રક્ષા અને આર્થિક ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચેનો સહયોગ વધારવાનો છે.
આ દરમિયાન ભારતીય પરમાણુ ઉર્જા નિગમ લિમિટેડ (એનપીસીઆઇએલ) અને અમેરિકન કંપની વેસ્ટિંગહાઉસ વચ્ચે સમજુતી પર હસ્તાક્ષર થવાની આશા છે. ત્રીજી શિખર બેઠકમાં સિંહ તરફથી અમેરિકાના વીઝા નિયમોમાં પ્રસ્તાવિત ફેરફારોથી ભારતના આઇટી પ્રોફેશનલ્સ પર પડનારી અસર અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવશે.
એક સપ્તાહની વૉશિંગ્ટન અને ન્યુયોર્ક યાત્રા દરમિયાન મનમોહન સિંહ પાડોશી રાષ્ટ્રોના વડાપ્રધાન કે રાષ્ટરપતિઓ સાથે બેઠક યોજી શકે છે. છેલ્લા ચાર વર્ષમાં મનમોહન સિંહ અને બરાક ઓબામા વચ્ચે આ ત્રીજી બેઠક યોજાઇ રહી છે. જે દર્શાવે છે કે બંને દેશોના સંબંધો પરિપક્વ બન્યા છે.